ગદીરની “નસ” (નિમણુંક)ના ઈન્કારનું પરિણામ – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 6 મિનિટ

પરવરદિગારે આલમનો સૌથી મોટો એહસાન અને મહેરબાની છે કે તેણે આપણને માણસજાતના અસ્તિત્વ વડે શણગાર્યા. ત્યારબાદ સૌથી મહાન નેઅમત એ આપી કે તેણે આપણને પોતાના એ દીનમાં માનનારા બનાવ્યા જેને તેણે પોતાના માટે પસંદ કર્યો છે. એટલેકે દીને મુકદ્‌સે ઈસ્લામ.

ત્યારબાદ તેના તરફથી એ તવફીક મળી અને એ તેની મહેરબાની હતી કે તેણે આપણને એહલેબય્ત (અ.મુ.સ.) ની વિલાયત અને મોહબ્બત જેવી સર્વોચ્ચ નેઅમત અતા કરી.

હવે જે બંદો પરવરદિગારે આલમની આ દયા, કરમ અને મહેરબાનીની કદર કરે તો તે ખુશનસીબ છે. પરવરદિગારે આલમની બારગાહમાં તેનો દરજ્જો ઊંચો થાય છે. અને જે પણ ઈલાહી નેઅમતનો ઈન્કાર કરે છે તે બગાવત કરનારો છે. તે એવો બદનસીબ છે કે જેને દુનિયા અને આખેરતમાં અપમાન અને અઝાબ સિવાય કંઈજ મળશે નહિં.

અલ્લાહ તબારક વ તઆલાએ આ મહાન નેઅમતો અતા કર્યા પછી ઈન્સાન નજાત અને સફળતા પ્રાપ્ત કરી શકે અને નુકસાનોથી સુરક્ષિત રહી શકે તે માટે તેણે પોતાના નબીઓ અને વસીઓ (અ.મુ.સ.) ની ઈતાઅત અને ફરમાંબરદારીની તાકીદ કરી. નહીંતર જેવી રીતે આપણા હિદાયત પામવાથી તેને કોઈજ ફાયદો થતો નથી તેવીજ રીતે આપણા ગુમરાહ થવાથી પણ તેનું કોઈ નુકસાન થવાનું નથી.

આ તો તેના લુત્ફો કરમનો અનંત સમુદ્ર છે જેમાં આપણે સવાર સાંજ ડુબકીઓ માર્યા કરીએ છીએ. કારણકે અલ્લાહ પોતાના ઈલ્મ અને હિકમત વડે જાણતો હતો કે માણસ ખુબજ બગાવત કરનારો છે. તેમાં ઝુલ્મ અને હદ ઓળંગવાની બળવાખોરી જોવા મળે છે. તેથી તેણે હિદાયતના ચિરાગોને તેના માટે પ્રકાશિત કરી દીધા. અલ્લાહે એક બાજુ તો તેને સારી અક્કલ, સમજણ અને ન્યાય કરવાની ક્ષમતા આપી અને બીજી બાજુએ પોતાની તરફથી માર્ગદર્શકો મોકલ્યા જે ગુમરાહીના ડરને દુર કરીને તેઓને શરીઅતે ઈલાહીના સુકુન આપનારા રસ્તાઓ ઉપર ચલાવે. તેથીજ અલ્લાહ (સુ.વ.ત.) ફરમાવે છે.

અય ઈમાન લાવનારાઓ! જ્યારે અલ્લાહ અને તેના રસુલ તમને એ તરફ બોલાવે જે તમારા માટે રૂહાની જીવનનું કારણ હોય તો અલ્લાહ અને તેના રસુલની આજ્ઞાને માની લો અને જાણી લ્યો કે અલ્લાહ એવો શકિતમાન છે કે માણસ અને તેના દિલ (ઈરાદા) ની વચ્ચે આવી જાય છે અને (જાણી લ્યો) કે તમને બધાને તેની સામે ભેગા કરવામા આવશે.

(સુ. અન્ફાલ, ૨૪)

અને કોઈ મોઅમીન પુરૂષ કે સ્ત્રી માટે તે યોગ્ય નથી કે જ્યારે અલ્લાહ અને તેના રસુલ તેને કોઈ વાતનો હુકમ આપે તો તેમને તે કામ ને કરવા કે ન કરવાનો ઈખ્તેયાર હોય અને (યાદ રાખો કે) જે શખ્સે અલ્લાહ અને તેના રસુલની નાફરમાની કરી તો ખરેખર તે ખુલ્લી ગુમરાહીમાં છે.

(સુ. અહઝાબ, ૩૬)

રસુલ તમને જે કંઈ આપે તેને લઈ લ્યો અને જેનાથી રોકે તેનાથી રોકાઈ જાવ.અલ્લાહથી ડરો, બેશક અલ્લાહ સખ્ત અઝાબ કરનારો છે.

(સુ. હશ્ર, ૭)

પરંતુ તેમ છતાં ઈતિહાસ, સિરત, હદીસ અને તફસીરથી તે એકદમ સ્પષ્ટ અને જાહેર છે કે મુસલમાનોમાં અમુક એવા લોકો પણ હતા કે જેમને અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) એ તેઓને જે ચીજોની તરફ બોલાવ્યા અને જે બાબતોનું આમંત્રણ આપ્યું તેમાં અલ્લાહ અને તેના રસુલના હુકમનો વિરોધ કર્યો. અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) એ જેમની ઈતાઅતનું આમંત્રણ આપ્યું હતું તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો.

મુસલમાનોએ અલ્લાહ અને તેના રસુલે બતાવેલી જે ચીજોનો ઈન્કાર કર્યો તેમાંથી એક આપ (સ.અ.વ.) ના ઈન્તેકાલ પછી હદીસે ગદીરની નસ્સના ઈન્કારનો પણ સમાવેશ થાય છે. મુસલમાનોએ તેનાથી મોઢું ફેરવી લીધું અથવા સંપૂર્ણપણે તેને ભુલાવી દીધી. જ્યારે કે આ તે હકીકત છે કે જેનો ઈન્કાર અશકય છે. તેનો ઈન્કાર એવીજ રીતે અશકય છે જેવી રીતે ભરબપોરે સુરજનો ઈન્કાર કરવો અશકય છે. અગર કોઈ આસમાનમાં ચમકતા સુરજનો ઈન્કાર કરે છે તો તે સુરજનું કંઈ નુકસાન નથી કરતો. પરંતુ લોકોની નજરમાં પોતાની ઈઝઝત ગુમાવી દે છે. પરંતુ તેઓનું શું કેહવું! તેઓની જીદનું છતાંય સુરજ તેઓને પોતાના કિરણોથી ફાયદો ઉપાડવાની તક આપે છે. આમ મુસલમાનોએ હદીસે ગદીરની નસ્સનો ઈન્કાર કરીને પોતાનુજ નુકસાન કર્યું છે. હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) નું કોઈ નુકસાન નથી કર્યુ. પરંતુ તેમ છતાં ઈમામતના આ સુરજનો ફાયદો દરેક સુધી પહોંચતો રહ્યો છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.) ની હદીસે ગદીર એટલેકે રસુલુલ્લાહ (સ.અ.વ.) નું ઉમ્મતની રહબરી અને ઈમામત માટે મઅસુમ ઈમામો (અ.સ.)ને જાનશીન તરીકે નિયુકત કર્યા હતા. તેમ છતાં મુસલમાનોએ તેઓનો ઈન્કાર કરીને ઈન્સાનીય્યતનું એટલું મોટું નુકસાન કર્યુ છે જેની ભરપાઈ કોઈપણ રીતે શકય નથી.

એહલે સુન્નતના આલિમોએ પોતેજ હદીસે ગદીરની નસ્સના ઈન્કારના નુકસાનો અને તેના ખરાબ પરિણામોનું તેમજ તેની અતિશય ખરાબ અસરોની જાહેરમાં સ્પષ્ટતા કરી છે. અહીં આપણે એહલે સુન્નતના અમુક આલિમો અને સમજદાર લોકોની કબુલાતો રજુ કરીશું.

(૧) ખિલાફતનું રાજાશાહીમાં પરિવર્તન:

ડો. અહમદ મહમુદ સબહી કહે છે:

બયઅત અને રાજકરણની વ્યવસ્થાના વિષે એહલે સુન્નતની વિચારધારાના કારણે ઘણી અસરો જાહેર થઇ છે. પ્રથમ ત્રણેય ખલીફાઓમાંના દરેક પોતાની ઈચ્છા પ્રમાણે એક બીજાની કાર્ય પધ્ધતીથી વિરૂધ્ધ હુકમો આપતા રહ્યા, આવી હાલતમાં ઈસ્લામની સાચી છબી કેવી રીતે દોરી શકાય કે જેના ઉપર તમામ મુલસમાનો એકમત થઈ શકે.

(નઝરીયતો અલ-ઈમામતે લદય અશ્-શીય્યતે

અલ-ઈસ્ના અલ-અશઅરીય્યા, પા. ૫૦૧)

બીજી કિતાબમાં લખે છે:

મોઆવીયાએ પોતાના પછી પોતાના દીકરાને ખલીફા નિયુકત કરીને ખિલાફતને વારસાગત બનાવી દીધી. જેના કારણે ઈસ્લામી વ્યવસ્થામાં એક એવી બિદઅતનો પાયો મુકાઈ ગયો કે જેના પછી એક નવો સિલસિલો શરૂ થઇ ગયો. પછી તો શું? સલફની સુન્નત પાયમાલ થવા લાગી. ખિલાફત ઈરાન અને બઝન્તીઓની રાજાશાહી સાથે લડવા લાગી અને ખિલાફતને રાજાશાહીનું નામ આપી દેવામાં કોઈ અડચણ ન રહી. ટુંકમાં એ કે જાહિઝના કહેવા પ્રમાણે ખિલાફતનું રાજાશાહી અને મહેલોની શહેનશાહીમાં પરિવર્તન થઇ ગયું.

(અન્નિઝામો અલ-ઈસ્લામીય્યા નિશસ્તહા વ તતવ્વુરહા, પા. ૨૬૭)

પછી લખે છે

ઝાલિમ ખલીફાઓના ઝમાનામાં ઈસ્લામના નામે તાકત અને બળના આધારે જે કંઈ કારાસ્તાનો કરવામાં આવ્યા, તે બધાને દીને મુકદ્દસે ઇસ્લામની સાથે કોઈ સંબંધ નથી. અલ્લાહનો દીન તેનાથી એકદમ મુક્ત અને સ્વતંત્ર છે. કયામત સુધી તેના ગુનાહો તે લોકોના ખાતામાં લખવામાં આવશે જેઓ આ પ્રકારની હુકુમતો માટે જવાબદાર છે.

(ઉપર મુજબ, પા. ૨૭૯)

(૨) ઝુલ્મ અને સરમુખત્યારીએ ખિલાફતમાં પણ સ્થાન મેળવ્યું:

જાહિઝ એહલેસુન્નતના મહાન આલિમોમાંથી ગણાય છે. તેમ છતાં કે તેઓ ઉસ્માનના તરફદાર અને સમર્થક છે પરંતુ મોઆવીયાની હુકુમતની રીતનો સખત વિરોધ કરતા લખે છે:

‘…મોઆવીયાએ પોતાની હુકુમતમાં ખુબજ ઝુલ્મ અને સરમુખત્યારી ચલાવી અને મોહાજેરીન અને અન્સારના સમુહ તેમજ શુરાના બીજા સભ્યો ઉપર ખુબજ અત્યાચારો કર્યા, એટલી હદે કે જે વર્ષને એકતાનું વર્ષ ઠરાવ્યું હતું તેમાં પણ મુસલમાનો હાકિમે શામના ઝુલ્મ અને અત્યાચારથી સુરક્ષિત ન રહ્યા. હકીકતમાં તે એકતાનું વર્ષ ન હતું બલ્કે ઝુલ્મ, અત્યાચાર, જુદાઈ, વિરોધો અને જોર-જબરદસ્તીનું વર્ષ હતું. જેમાં ઈમામત અને ખિલાફત રાજાઓ, મહેલોની રાજાશાહી અને તખતો તાજમાં બદલાઈ ગઈ.

(રસાએલે જાહિઝ, પાના ૨૯૨-૨૯૭, રસાએલે યાઝ દહુમ)

નોંધ:

આ ઈસ્લામના સરદારો, આ લેખકો અને સંકલન કરનારાઓ, આ કલમ ચલાવનારા કોણ છે જેની સામે ઉસ્માનની ખિલાફતના કારાસ્તાનો, મરવાન બિન હકમ ઉપર તેની મહેરબાની, બયતુલ માલના ઇસ્રાફને નહોતા જાણતા? જાણવા છતાં પણ તેની હિમાયત કરવા તૈયારી!!

ખસ્તે અવ્વલ ગર નહદ મેઅમાર કુજા તા સય્યાએ રૂ દિવરે કજ

પહેલી ઈંટજ આડી મુકે એ કડીયો કેવો, કે જેનાથી દીવાલ જ વાંકી બને?”

મોઆવીયાની રાજાશાહી આજ ખિલાફતની એક મજબુત શાખા તો હતી. કાશ કે હદીસે ગદીરની નસ્સને છુપાવવા કરતા તેની ઝેરી અસરોથી માહિતગાર હોત તો દુનિયાને ઈસ્લામની તબાહીનું આ દ્રશ્ય જોવું ન પડત.

(૩) હ. અલી (અ.સ.)ના બારામાં રસુલુલ્લાહ (સ.અ.વ.) ના તમામ હુકમોની અવગણના કરવી:

રસુલુલ્લાહ (સ.અ.વ.) એ હ. અલી (અ.સ.) ની જે કંઈ ફઝીલતો અને મનાકીબ (સદગુણો) વર્ણવ્યા હતા તે બધાને નજર અંદાજ કરી નાંખ્યા. એહલેબૈત (અ.સ.) બાબતે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની નસીહતો અને ભલામણોથી મુસલમાનોએ મોઢું ફેરવી લીધુ. તેટલુંજ નહિં બલ્કે એહલેબૈત (અ.સ.)નું નાહક ખુન વહાવ્યું. ઈમામત જેવા ઈલાહી હોદ્દા ઉપર યઝીદ જેવા ફાસિક અને ફાજીર માણસને બેસાડી દેવામાં આવ્યો. આ બાબતે ઈબ્ને કુતયબા લખે છે:

જહમીય્યા અને મુશબ્બ્હાએ હ. અલી કરરમલ્લાહો વજહહુના મરતબાને ઘટાડવામાં અતિશ્યોક્તિથી કામ લીધુ. તેમના હકનો ઈન્કાર કરીને ગુમરાહી અને અંધકારને પસંદ કર્યો. તેઓએ પોતાના ઝુલ્મોને વ્યાજબી પૂરવાર કર્યા વગર ઝુલ્મ અને સિતમ વડે તેમનું નાહક ખૂન વહાવ્યુંપોતાની અજ્ઞાનતાના આધારે ઈમામ (અ.સ.) ને ઈમામતના પાકિઝા સ્થાનથી હટાવીને ફિત્ના-ફસાદ કરનારાઓના ઈમામ ઠરાવ્યા. લોકોમાં મતભેદ હોવાના કારણે તેમની ઈમામત અને ખિલાફતને ન સ્વીકારી બલ્કે તેમની સામે યઝીદ બિન મોઆવીયાને (પોતાના મંતવ્ય પ્રમાણે) ઊમ્મતના ઈજમાઅને કારણે તેને ખિલાફતનો હકદાર સમજી લીધો.

(અલ ઈખ્તેલાફો ફી લફઝે વર રદદે અલા જહમીયા વલ મુશ્બેહાહ, પા. નં. ૪૭-૪૯)

(૪) દીને હક્ક અને રસુલુલ્લાહ (સ.અ.વ.) ની સુન્નતમાં ફેરફાર:

તેમાં કોઈ શંકા નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) ના ઈન્તેકાલ પછી પાકીઝા દીને ઈસ્લામમાં એવી એવી બાબતો ઘુસાડી દેવામાં આવી જેનો ઈસ્લામ સાથે દુર-દુર સુધી પણ કોઈ સંબંધ નથી, જેને આજનો મુસલમાન દીનનો એક ભાગ સમજીને અંજામ આપવામાં તન-મનથી લાગેલો છે અને આ બાબતોને સાચા મોઅમીનની નિશાની સમજે છે. આ બધી વાતોને રજુ કરવાનો મૌકો નથી. રસ ધરાવનારા લોકોએ મહાન સંશોધક સૈયદ શરફુદ્દીન મુસવીની કિતાબ અલ ઈજતેહાદ વન્નસ્સતરફ રજુ થઈ શકે છે. અહિં માત્ર એહલે સુન્નતના એક બુઝુર્ગ આલિમ મકરીઝીની કબુલાતનો ઊલ્લેખ કરીશું.

મકરીઝી લખે છે:

અલ્લાહ અને તેના રસુલે સાચુંજ કહ્યું હતુ કે રસુલુલ્લાહ (સ.અ.વ.) પછી અમુક એવા ખલીફાઓ આવશે જે હિદાયતના રસ્તા અને દીને હક્ક થકી ફેંસલા નહીં કરે અને સુન્નતોને બદલી નાખશે…”

(અન્નિઝાઅ વત્ત-તખાસુમ, ભા.૧૨, પાના નં. ૩૧૫-૩૧૭)

(૫) કુપાત્ર (કપાતર) માણસો ઈસ્લામના સત્તાધારી બની ગયા જેના કારણે મુસલમાનો અને ખાસ કરીને બુઝુર્ગ સહાબીઓની ખૂના-મરકીનો માર્ગ મોકળો બની ગયો:

આ બાબતે ઈબ્ને હઝ્મ ઝાહેરી લખે છે:

યઝીદ બિન મોઆવીયાએ ઇસ્લામમાં ખુબજ ખરાબ પરિણામો ઊભા કર્યા. તેણે પોતાની હુકુમત અને રાજ્યની શરૂઆતના દિવસોમાં ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના એહલેબૈત (અ.સ.) ને કત્લ કર્યા. અબ્દુલ્લાહ બિન ઝુબૈરને મસ્જીદુલ હરામમાં કૈદ કર્યા. ઈસ્લામ અને કાબાની હુરમતનો વિચાર પણ ન કર્યો અને હુકુમતના અંતિમ દિવસોમાં મદીનાવાસીઓ, કૌમના બુઝુર્ગો અને મહાન સહાબાઓને હરર્રાના બનાવમાં કત્લ કરી નાંખ્યા.

(જમહરતો અન્સાબ અલ-અરબ, પાના નં. ૧૧૨)

બીજી કિતાબમાં કંઈક આ પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી છે:

બની ઉમય્યાના રાજાઓએ નમાઝમાંથી તકબીરને કાઢી નાખી, નમાઝે ઈદે ફીત્ર અને ઈદે કુરબાનના ખુત્બાને આગળ કરી નાંખ્યો. એટલી હદે કે આ વાત દરેક જગ્યાએ ફેલાઈ ગઈ (અને દરેક સ્થળે આ બિદઅત અને ગુમરાહી અંજામ અપાવા લાગી) માટે હવે એમ કહેવું બિલકુલ સાચુ અને યોગ્ય છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) સિવાય કોઈનો પણ અમલ હુજ્જત નથી.

(અલ મુહલ્લા, ૧/૫૫)

 

બીજો ભાગ

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*