ફદકને લગતા 12 પ્રશ્નો

વાંચવાનો સમય: 7 મિનિટ

કુરઆનની આયતો અને ઐતિહાસીક દસ્તાવેજો સાબિત કરે છે કે ખૈબરના કીલ્લા નજીક આવેલ ફદકની જમીન, જે અગાઉ યહુદીઓની માલીકીમાં હતી, રસુલુલ્લાહ (સ.અ.વ.)ની અંગત મિલ્કત હતી. તે સરકારી મિલ્કત ન હતી અને ન તો તે યુધ્ધમાં મેળવેલ માલે ગનીમત હતી. સુરે હશ્રની સાતમી આયત આ મુદ્દાને વિસ્તૃત રીતે સમજાવે છે.

અલ્લાહે શહેરવાળાઓનો જે માલ પોતાના રસુલને જેહાદ વગર અપાવ્યો છે તે અલ્લાહ અને (તેના) રસુલનો છે તથા રસુલના સગાઓનો તથા (તેમના) યતીમો તથા મિસ્કીનોનો તથા મુસાફરોનો છે કે જેથી તે માલ હેરફેર થતાં થતાં (છેવટે) તમારા માંહેના શ્રીમંતોના હાથમાં જઈને રહે નહિં.

ફદક તે જમીનનો ટુકડો હતો જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની માલીકીમાં યુધ્ધ કર્યા વગર આવ્યો હતો. સાતમી સદીમાં તે જમીનના માલીકોએ યુધ્ધ કર્યા વગર મુસલમાનોને તે જગ્યા સોંપી દીધી હતી. આમ સ્વૈચ્છિક રીતે આપેલી આ જમીન પવિત્ર પયમગ્બર (સ.અ.વ.)ની અંગત માલીકીની બની અને સરકારને તેની જોડે કોઈ લેવાદેવા ન હતા. આ તથ્યને ઘણા તફસીરકારો અને ઈતિહાસકારોએ સ્વિકારેલ છે. તે સંદર્ભે અમો અમૂક નામો અહીં નકલ કરી રહ્યા છીએ: બાલાઝરીની ફુતુહ અલ બીલદાન’, શયખ શાહબુદ્દીન હમવીની મોજમ અલ બીલદાન’, ફદકના શીર્ષક હેઠળ મોહમ્મદ ઈબ્ને જુરૈર તબરીની તારીખ અલ ઉમમ વલ મૂલોકભાગ-3 પા. 14, ઈબ્ને અસીરની અલ કામીલભાગ-3 પા. 221, ઈબ્ને અબીલ હદીદની શરહે નહજુલ બલાગાહભાગ-1 પા. 210

    તમામ સુન્ની તફસીરકારો સુરે બની ઈસ્રાઈલની આયત 28 ને સમજાવતા કહે છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફદક જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને ભેટ આપી હતી. આમ તે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ની અંગત મિલ્કત થઈ. અમારી આ વાતની દલીલમાં નીચે વર્ણવેલ સંદર્ભ ગ્રંથોને જોઈ શકાય:

    સિયુતીની દુરૂલ મન્સુરભાગ-5 પા. 273, હાકીમ હસકાનીની સવાહેદુત તન્ઝીલભા-1 પા. 240. આ બન્ને લેખકોએ અબુ સઈદ ખુદરી અને ઈબ્ને અબ્બાસથી નકલ કરેલ છે. તેમજ અત્રે વર્ણવેલ વિધ્વાનોએ પણ સ્પષ્ટીકરણ કર્યું છે અને કબુલ કર્યું છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ) એ ફદક ફાતેમા ઝહરા (સ.અ.)ને ભેટ આપ્યું હતું. કાઝી અબ્દુલ જબ્બાર મોઅતઝલી, યાકુતે હમુઈ, ઈબ્ને અબીલ હદીદ, અબ્દુલ ફત્તા, અબ્દુલ મકસુદ એ મીસરી, વિગેરે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસેથી ફદક મેળવ્યા બાદ, ફાતેમા ઝહરા (સ.અ.) પોતાના કર્મચારીઓને ત્યાં નિયુકત કર્યા હતા. આમ ફદક પયગમ્બર (સ.અ.વ.)ની મિલ્કત હતી. પહેલા ખલીફાએ ફદકને ફાતેમા (સ.અ.)ના હાથોમાં જોઈ શકયા નહિં. તેથી તેમણે તેમના રાજકીય ટેકેદારોને મોકલી ફાતેમા (સ.અ.)ના નિયુકત કરેલા કર્મચારીઓની હકાલપટી કરીને ફદકનો કબજો આંચકી લીધો. અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)એ પોતાના પત્રમાં જે નહજુલ બલાગાહમાં છે તેને એક અર્થસભર વાકયમાં આલેખ્યો છે કે આકાશ તળે જે કઈ અમારી પાસે હતું તે ફદક’. જે સાબીત કરે છે કે એહલેબય્તનું ૠણ અદા કરવામાં આવ્યું ન હતું. વસ્તુસ્થિતિ જોતા કેટલા લોકોએ ઉદાર વલણ અને બહોળો દ્રષ્ટિબિંદુ અપનાવ્યું છે? હા. અલ્લાહ શ્રેષ્ઠ ન્યાયધિશ છે.

જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) સરકારના આ પગલાના વિરોધમાં મસ્જીદમાં ગયા. પરદા પાછળ બેસીને ઉપસ્થિત તમામ લોકોની હાજરીમાં પહેલા ખલીફાને સંબોધન કર્યું. આપ (સ.અ.) તેની સામે ફદકપોતાની મિલ્કીય્યત હોવાની રજુઆત કરી અને ફદક પરત કરવાનો દાવો કર્યો, જે તેણીને તેમના પિતા પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ આપ્યો હતો અને જે તેણીની મિલ્કત બની હતી. પહેલા ખલીફાએ તેણીના દાવાને ધ્યાને લીધું નહિં અને તેને એમ કહી રદ કર્યું કે પયગમ્બર (સ.અ.વ.)એ આપ (સ.અ.)ને ફદકઆપ્યો ન હતો અને અગર ફદક આપ (સ.અ.)ની મિલ્કત છે તો તેના સાક્ષીઓ લાવો. જનાબે ફાતેમા (સ.અ.) છ સાક્ષી લાવ્યા, ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રીઓ, જેમા હઝરત અલી (અ.સ.), ઈમામ હસન (અ.સ.), ઈમામ હુસૈન (અ.સ.), ઉમ્મુલ મોઅમેનીન જનાબે ઉમ્મે સલમા, ઉમ્મે અયમન કે જેઓ પયગમ્બર (સ.અ.વ.)ની કનીઝ અને અસ્મા બિન્તે ઉમૈસ (સ.અ.) કે જેઓ પહેલા ખલીફાની પત્નિ. પરંતુ ખલીફાએ આ સાક્ષીઓના પુરાવાને મંજુર ન રાખ્યા અને તેનો કબજો ચાલુ રાખ્યો. આવુ વલણ અપનાવ્યા છતાં પહેલા ખલીફાને લાભ જીત થયો નહિ. કારણકે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ જાતે તેણીને આપ્યું હતું. બીજું, કારણકે તેણી (ફાતેમા સ.અ.) પયગમ્બર (સ.અ.વ.)ની એકમાત્ર પુત્રી હતા) તો પૈતૃક વારસો (તેમનેજ મળે) માટે વારસાની યાચીકા ધરી કારણકે તેણીની યાચીકા પહેલા ખલીફાએ સ્વિકારી ન હતી. આ સમયે ખલીફાએ પોતાની ઘડી કાઢેલી હદીસ કહી. અમો પયગમ્બરો પાછળ કોઈ મિલ્કત / વારસો મુકી જતા નથી અને જે કંઈપણ મુકયું હોય તો તે મુસલમાનોનું છે.જનાબે ફાતેમા (સ.અ.)એ આ હદીસને રદ કરતા કહ્યું કે આ હદીસ કુરઆનથી તદ્દન વિરૂધ્ધ છે. કુરઆને ઘણી જગ્યાએ પયગમ્બરોની દુન્યવી મિલ્કતનો ઉલ્લેખ કર્યો છે. આમ કહીને આપ (સ.અ.)એ કુરઆનની અમૂક આયતોની તિલાવત કરી.

જ. ઝહરા (સ.અ.) એ જોયું કે ખલીફા પોતાની જીદ પર જ મક્કમ છે તો તેઓ તમામ પ્રકારની દલીલો આપ્યા પછી નારાજ થઈ પોતાનો ઘરે પરત આવ્યા. આ ઘટના પછી તે કયારેય પણ પહેલા અને બીજા ખલીફા સાથે બોલ્યા ન હતા. ઈબ્ને કુતૈબા (અલ ઈમામહ વલ સીયાસાહ) મુજબ આપ (સ.અ.) દરેક નમાઝ બાદ તેઓ પર લઅનત કરતા હતા અને આપ (સ.અ.) અંતિમ દિવસોમાં હઝરત અલી (અ.સ.)ને વિનંતી કરી કે આપ (સ.અ.)ના જનાઝામાં આ બન્નેને શામીલ થવા દેવામાં ન આવે. આ બધુ જોતા અમુક લોકો જે સત્ય અને ન્યાયમાં માને છે તેમના મનમાં આપમેળે અમૂક પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

        અમો તેમાંથી થોડાક પ્રશ્નો રજુ કરવા માંગીએ છીએ.

1.      ફદકના દાવામાં ફાતેમા (સ.અ.) દાવોજ પૂરતો હતો કારણકે જનાબે ફાતેમા (સ.અ.) આયતે તત્હીરના મુખ્ય ભાગ હતા. તેઓ કયારે પણ અસત્ય  કે ખોટુ બોલતા ન હતા. આ સંજોગોમાં તેઓના દાવાની નામંજુરી એ હકીકતમાં આયતે તત્હીર (કે જેમાં અલ્લાહ (ત.વ.ત.) કિસાઅના લોકોની ચારિત્ર્યની પવિત્રતાને પ્રમાણિત કરેલ છે, તેને લાંચન લગાડવા સમાન છે.

2.      શા માટે હઝરત અલી (અ.સ.) અને અન્યોની સાક્ષીને સ્વિકારવામાં ન આવી જ્યારે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અનેકવાર કહ્યું: જ્યાં અલી છે ત્યાં હક્ક  છે.જે તરફ અલી જાય છે તે તરફ હક્ક જાય છે. આયતે તત્હીર ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.મુ.સ.) સંબંધી નાઝીલ થઈ હતી. શું આ શેહઝાદાઓ જન્નતના યુવાનોના સરદાર નથી? શા માટે ઉમ્મે સલમા (ર.અ.) અને ઉમ્મે અયમનની સાક્ષીઓને કબુલ રાખવામાં ન આવી? શું તેણીઓ તેમાંથી નથી જેમને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ જન્નતનો વાયદો કર્યો છે? શું આ પુરાવા કુરઆન મુજબ ના ન હતું? હાંલાકે કુરઆન મુજબ બે પુરૂષ અને એક સ્ત્રી અથવા બે સ્ત્રીઓ અને એક પુરૂષની સાક્ષી પુરતી છે. શું આ સાક્ષીઓ ન્યાયના સમર્થકો ન હતા? ફકત તેઓ ન્યાયના સમર્થકો જ નહિં પરંતુ તેઓમાં ઈસ્મતનો ખૂબજ મહત્વનો ગુણ પણ હતો.

3.      કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા જનાબે ફાતેમા (સ.અ.)ના સાક્ષીઓને બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. શા માટે? શું આવું કાર્યનો અર્થ ઝુલ્મ નથી?

4.      ઈસ્લામી કાયદાનું આ અવિવાદીત કાર્ય છે કે જે પણ કોઈ વસ્તુનો કબજેદાર હોય પછી તે સ્થાવર મિલ્કત હોય કે અન્ય કોઈ વસ્તુ, તે તેની જ કહેવાય જેના કબજા ભોગવટામાં હોય. તેણે સત્યતાપૂર્વક કહેવાનું જ હોય કે તે ફલાણી મિલ્કત મારી છે. વધુમાં, સાક્ષીની જરૂર તેને પડે જેણે દાવો કર્યો હોય અને નહિં કે તેણે કે જેના કબજામાં મિલ્કત હોય. આ કાયદા મુજબ સાક્ષીઓની માંગણી કરવી ન્યાયની જરૂરતોને આધીન નથી. આમ, જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) પાસેથી સાક્ષીઓ માંગવા બિનઅધિકૃત છે. તેમની જવાબદારી ફકત સત્યતાપૂર્વક કહેવાની હતી. સાક્ષીઓ લાવવાની જવાબદારી તો પહેલા ખલીફાની હતી. શા માટે ઈસ્લામી કાનૂન જોડે ચેડા કરવામાં આવ્યા અને તેમને ટાળવામાં આવ્યા?

5.      ઘણા મૌકાઓ ઉપર પહેલા ખલીફા પયગમ્બર (સ.અ.વ.)ના સહાબીઓ દ્વારા પ્રસ્તૃત સમસ્યાઓમાં સહમત થયા અને કોઈ સાક્ષીની માંગણી કરી ન હતી. ઉદાહરણરૂપે એકવાર જનાબે જાબીરે ખલીફા પાસે આવ્યા અને કહ્યું કે પયગમ્બર (સ.અ.વ.)એ મને અમૂક રકમ ચુકતે કરવાનું વચન આપ્યું હતું. સાક્ષી માંગ્યા વગર તરતજ આપી દીધા. તેવીજ રીતે એક વખત અબુ બશીર માઝાનીએ કહ્યું કે પયગમ્બર (સ.અ.વ.)એ તેમને અમૂક રકમ આપવાનો વાયદો કર્યો હતો ખલીફાએ તેમને 1400 દીરહમ ચૂકતે કર્યા (સહીહ બુખારી). પછી તે શું કારણ હતું આ કિસ્સામાં કોઈ સાક્ષી માંગવામાં ન આવ્યા તો આવા અમૂક કિસ્સામાં તો માત્ર પયગમ્બર (સ.અ.વ.)ની સહાબીય્યતજ પૂરતો પુરાવો બની. પરંતુ પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રીના કીસ્સામાં શા માટે સાક્ષીઓની જરૂર પડી? અને તે જ વ્યકિતઓ માટે જેમના બારામાં આયતે તત્હીર નાઝીલ થઈ હતી.

6.      જ્યારે ફદક ફાતેમા (સ.અ.)ની મિલ્કત માનવામાં આવી ન હતી તો શા માટે અગાઉના મૌકા પર પહેલા ખલીફાએ આપ (સ.અ.)ની તરફેણમાં પ્રમાણપત્ર જારી કર્યું. જ્યારે આ જ બાબતની તેમણે પહેલા રજુઆત કરી હતી. શા માટે બીજા ખલીફાએ ફાતેમા (સ.અ.)ના હાથમાં તે પ્રમાણપત્ર જોઈ તેને આંચકી લઈ ફાડી નાખીને તેના પર થૂંકયા

(શરહે નહજુલ બલાગાહ ઈબ્ને અબીલ હદીદ ભાગ-16 પા. 174, સીરહએ હલબીયા ભાગ-પા. 362)

જ્યારે ફદક ફાતેમા (સ.અ.)ની મિલ્કત ન હતી તો પહેલા મૌકા ઉપર તેમને કેમ આપવામાં આવ્યું? અને જો તે તેમનુજ હતું તો શા માટે છીનવી લેવામાં આવ્યું?

7.      જો પહેલા ખલીફા ફદકના મામલામાં સાચા હતા તો પછી ફદકની યાદ આવતા અનેકવાર શા માટે પ્રશ્ર્વાતાપ કરતા હતા? અને શા માટે તેઓ પોતાના કાર્યોથી શરમીંદા હતા?

8.      ફદક પરત નહી કરવા માટે પહેલા ખલીફાએ રજુ કરેલ હદીસ સ્પષ્ટપણે કુરઆનના વસ્તુવિચારથી વિરૂધ્ધ હતી. કુરઆનમાં સુલૈમાન (અ.સ.), દાઉદ (અ.સ.), યાકુબ (અ.સ.) અને તેમના પુત્રો, ઝકરીયા (અ.સ.) અને યાહ્યા (અ.સ.)ની મિલ્કતનો ઉલ્લેખ છે. તેઓ તમામ પયગમ્બરો હતા અને મિલ્કત ધરાવતા હતા. (સુરએ નમ્લ આ. 16, સુરએ મરયમ આ. 46)

ઉપર લખ્યું તે સિવાય જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) માસુમા, શુધ્ધ ચારિત્ર્ય ધરાવનાર અને પ્રમાણીક હતા. શા માટે તેમના કથનને સાચું માનવામાં ન આવ્યું? પહેલા ખલીફાએ કહેલી હદીસ કુરઆનની આયતનો અર્થ અને શિક્ષણને અનુરૂપ ન હતી તેથી તે સ્વિકાર્ય પણ ન હતી. પછી શા માટે ફાતેમા ઝહરા (સ.અ.)ને પોતાની મિલ્કતથી વંચિત રાખવામાં આવ્યા અને તેનો ઈન્કાર કરવામાં આવ્યો?

9.      અગર તે સાચુ હોય કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ કોઈ મિલ્કત મૂકી ન હતી અને જો કોઈ હતી તો તે સરકારની અથવા મુસલમાનની માલિકીની હતી તો શા માટે પયગમ્બર (સ.અ.વ.)ની પત્નિઓ ખાસ કરીને અબુ બક્રની પુત્રી આઈશાના કબ્જામાં જે મિલ્કત હતી તેને ખાલી કરવાનું કહેવામાં કેમ ન આવ્યું? આ પણ તો પયગમ્બર (સ.અ.વ.) દ્વારા પાછળ મુકવામાં આવેલી મિલ્કત હતી? શું મિલ્કતના પરના અધિકારનો ઈન્કાર ફકત જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને જ લાગુ પડતો હતો?

10.      જો પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ કોઈ મિલ્કત મુકી ગયા ન હતા અને તે કોઈ વ્યકિતગત માલિકીમાં ન હતી તો પછી પયગમ્બરની કબ્રની બાજુમાં દફન થવા માટે અબુબક્રએ શા માટે આઈશા પાસે પરવાનગી માંગી?

જો મિલ્કતને વારસો ગણવામાં આવે તો પત્નિઓને કોઈ ભાગ હોતો નથી. વધુમાં વધુ તેઓ માત્ર તેમાં રહેવાના જ હક્કદાર છે. જો મિલ્કતમાં અધિકાર માનવામાં આવે તો બાળકો હોવાની સ્થિતિમાં તો પત્નિનો હક્ક 1/8 જ છે અને આ 1/8 માં તમામ પત્નિઓને સરખે ભાગે વહેચાશે. જો તેને નવ ભાગે વહેચવામાં આવે તો દરેક પત્નિને 1/72 મો ભાગ મળશે. આ ભાગ માટે ઉમ્મુલ મોઅમેનીન આઈશા માત્ર પોતાના ભાગની જ પરવાનગી આપી શકતી હતી. બીજી પત્નિઓ પાસેથી શા માટે પરવાનગી લેવામાં ન આવી?

11.      જો એ માનવામાં આવે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) જનાબે ફાતેમા (સ.અ.)ને ફદક ભેટ આપ્યો હતો અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની કોઈ મિલ્કત ન હતી. તો પણ શા માટે એહલેબય્ત (અ.મુ.સ.)ને ખયબર અને યુધ્ધોના ખુમ્સથી વંચીત રાખવામાં આવ્યા હતા? શું કુરઆને તમારા તમામ સગાવહાલા (ઝુલ કરબા ને) ખુમ્સ ચુકવવાનો હુકમ આપ્યો નથી? (સુરએ તવબા આ. 41, સુરએ ઈસ્રા આ. 28) માલે ગનીમતમાં વારસાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

12.      જો ખલીફાઓની દલીલ અને મંતવ્ય ફદક વિષે સાચુ હતું તો ઉમર બીન અબ્દુલ અઝીઝ ઉમવી, સફફાહ, મહદી અને મામૂન અબ્બાસીએ જનાબે ફાતેમા (સ.અ.)ના વંશજોને ફદક પરત કરવાની તજવીઝ શા માટે કરી?

જો તે ઈસ્લામના તમામ માનવાવાળાઓની મિલ્કત હતી તો ત્રીજા ખલીફાએ તેને શા માટે મરવાનને આપી? પછી મોઆવીયાએ તેની વહેચણી તેના પુત્ર, હકમના પુત્ર અને ઉસ્માનના પુત્ર વચ્ચે શા માટે કરી?

પછી તે ફરીવાર યઝીદ બીન અબ્દુલ મલીક, મનસુર દાવાનકી અને મુતવક્કીલ અબ્બાસી દ્વારા શા માટે લઈ લેવામાં આવી? (બુખારી ભાગ.5 પા. 3 ઈબ્ને અસીરની તારીખ ભાગ.5 પા. 288, ભાગ.1 પા. 200)

હકીકત એ છે કે ફદક ફાતેમા (સ.અ.)ની મિલ્કત હતી અને તેણીનો અધિકાર હતો. પરંતુ સરકારે તેને ગસ્બ કર્યું. સંભવત: મૂખ્ય કારણ કે ખુબજ ફળદ્રુપ અને વસાહતવાળી જમીન હતી. તેમાંથી સારી એવી આવક થતી હતી અને એહલેબય્ત (અ.મુ.સ.)ના આર્થીક સ્ત્રોતનો આધાર હતો અથવા એહલેબય્ત (અ.મુ.સ.)ની આર્થીક સ્થિતિને કમઝોર કરવા માટેનું પગલુ હતું. જેથી તેમને દીનના અને રાજકીય મુખ્યધારામાંથી દૂર કરી શકાય.

જે લોકો કુરઆનમાં સંપૂર્ણ વિશ્ર્વાસ ધરાવે છે અને તેના હુકમોને માને છે તેઓ પોતાની ફરજ સમજે છે અને જે લોકો ફાતેમા (સ.અ.)ને આયતે તતહીરના મુખ્યસ્થાને સમજે છે અને મુબાહેલાને તેણીની સત્યતા પ્રમાણીકતાનો પુરાવો સમજે છે અને સુરે હલ અતા તેણીના ઉચ્ચ ચારીત્ર અને પવિત્રતાની રોશનીમાં જુએ છે તેઓ સંનિષ્ઠ પણે માને છે કે ફાતેમા (સ.અ.) ફદકના મામલામાં તદન સાચા હતા અને તે તેમનો હક હતો. કુરઆનના શબ્દોમાં હક્ક પછી કઈ નથી સિવાય કે ગુમરાહી”.

એ જ્યારે તેમને કહેવામાં આવે છે કે પૃથ્વી પર ફસાદ ફેલાવો નહિં ત્યારે તેઓ કહે છે કે અમે તો (લોકોમાં) માત્ર સુલેહ કરાવનારા છીએ. ખબરદાર! નિસંશય એજ લોકો ફસાદ ફેલાવનારા છે પરંતુ તેમને તેનું ભાન નથી. અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે જેમ બીજા લોકો ઈમાન લાવ્યા છે તેમ તમે પણ ઈમાન લાવો, ત્યારે તેઓ કહે છે: શું અમે એવી રીતે ઈમાન લાવીએ કે જેવી રીતે તે મુર્ખાઓ ઈમાન લાવ્યા છે. ખબરદાર તેઓ પોતેજ મૂર્ખ છે પણ જાણતા નથી. (સુરએ બકરહ આ. 11-13)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*