અલ્લાહનો હાથ કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટ

અમુક લોકો શીયાઓ ઉપર એવો આક્ષેપ મુકે છે કે તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ) અને બીજા ઇમામોના દરજ્જા બાબત અતિશ્યોક્તિથી કામ લે છે, તેઓ એવો દાવો કરે છે કે શીયાઓએ ઇમામો (અ.સ)ના ફઝાએલો જાતે ઘડી કાઢ્યા છે, ઇમામો (અ.મુ.સ) કોઇ વિશેષ કે અસાધારણ ગુણોના માલીક નહોતા, તેઓના દરજ્જાને વધારવુ તે બિદઅત કરવા જેવું છે, જેમ કે તેઓનો દાવો છે કે પવિત્ર પયગંબર(સ.) ખુદ એક સામાન્ય માણસ હતા અને આ વિશેષ ગુણોનો તેઓમાં પણ અભાવ હતો, તો પછી ઇમામો કેવી રીતે આ આશ્ચર્યકારક અને વિસ્મયકારક ગુણો ધરાવી શકે? બલ્કે હમેશ મુજબ તેઓ અમીરુલ મો’મેનીન (અ.સ)ને અલ્લાહનો હાથ, અલ્લાહની આંખ જેવા અલ્કાબો આપીને શિર્ક આચરે છે.

ઇમામ અલી (અ.સ)ના આ ફઝાએલો સાબિત કરવા અમે એક અગ્રણી મુસ્લિમ આલીમનો એક મુનાઝરો  અત્રે નકલ કરીશું, અને એ હકીકતને આશકાર કરીશું કે તમામ મુસ્લિમો આ વાતને કબુલ કરે છે કે ઇમામો (અ.સ) અને ખાસ કરીને ઇમામ અલી (અ.સ) આ અસાધારણ ગુણો અને ફઝીલતો ધરાવે છે, અને એ કે આ કેવળ શીયાઓનો ખોખલો અને ઘડી કાઢેલ અકીદો નથી.

અલ્લામા અમીની ટીકાકારો ને ચુપ કરી દે છે.

અલ-ગદિર જેવી અમૂલ્ય કિતાબના વિદ્વાન લેખક અલ્લામા અમીની,  તેમણે મુસાફરી દરમ્યાન એક મજલીસમાં હાજરી આપી જેમાં એક સુન્ની વિદ્વાને તેમને પડકાર ફેંક્યો.

સુન્ની વિદ્વાન: તમો શીયાઓ હ. અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ના બારામા ગુલુવ (અતિશ્યોક્તિ)થી કામ લો છો અને તેમના દરજ્જાને વધારો છો, જેમકે તમો તેમને يَدُ الله યદુલ્લાહ (અલ્લાહ નો હાથ), عَيْنُ الله અય્નુલ્લાહ (અલ્લાહ ની આંખ) જેવા અલ્કાબથી ખિતાબ કરો છો, કોઇ સહાબીને આવા અલ્કાબથી નવાઝવું સહી નથી.

અલ્લામા અમીનીએ જરાપણ વિલંબ વિના સામો સવાલ કર્યો, જો ઉમર ઇબ્ન ખત્તાબ ખુદ અલી અ.સ.ને આ અલ્કાબોથી નવાઝે તો તમો શું કહેશો ?

સુન્ની વિદ્વાન: ઉમરનું કહેવું અમારા માટે પર્યાપ્ત દલીલ હશે.

અલ્લામા અમીનીએ તે મજમામાં સુન્નીની એક ભરોસપત્ર કિતાબ મંગાવી, તેઓએ કિતાબ રજુ કરી, અલ્લામાંએ કિતાબનું એ પાનું ખોલ્યું જેમાં આ મુજબ હદીસ નકલ હતી:

એક માણસ કે જે ખાને કાબાનો તવાફ કરી રહયો હતો તેણે એક સ્ત્રી તરફ બુરી નિયતથી નજર કરી, હ. અલી ઇબ્ને અબી તાલિબ અ.સ તેને આમ કરતા જોઈ ગયા અને તેને પોતાના હાથ વડે માર્યો અને આ રીતે તેને સજા કરવા ચાહી, તે શખ્સ પોતાના ચેહરા પર હાથ રાખીને બેચેન હાલતમાં ઉમર બિન ખત્તાબની પાસે હાજર થયો એ ઈરાદાથી કે હ. અલી ઇબ્ને અબી તાલિબ અ.સ.ની શિકાયત કરે, તેણે સમગ્ર બનાવ ઉમર ની સામે બયાન કર્યો.

ઉમરે જવાબ આપ્યો: બેશક, અલ્લાહની આંખે જોયું અને અલ્લાહના હાથે માર્યું

(અહી રૂપક (મતલબ) એમ છે કે હ.અલી અ.સ.ની આંખો જે કાંઈ જુએ તેમાં ક્યારેય ખતા નથી કરતી કારણકે  અલી અ.સ.ની આંખો એ છે કે જેને અલ્લાહના ઈમાનની તા’લીમ મળેલ છે અને આવી આંખો ક્યારયે ભૂલ ના કરી શકે, અલી અ.સ.ના હાથો ક્યારેય ઊપડે નહિ સિવાય એ બાબત કે જેમાં અલ્લાહની રઝા શામિલ હોય )

જયારે સુન્ની આલીમોએ આ હદીસ જોઈ તો તે તેનો ભાવાર્થ સમજી ગયા અને અલ્લામાની વાત સાથે સંમત થઇ ગયા.

વાસ્તવમાં, શબ્દ પ્રયોગો જેવાકે رُوْحُ الله  (અલ્લાહ ની રૂહ) – હ.ઈસા અ.સ માટે એક માનવાચક સંબંધ દર્શાવે છે (અલ્લાહ સાથે) અને નહિ કે અલ્લાહને આત્મા છે એવું દર્શાવે છે, એવીજ રીતે يَدُ الله  અલાહનો હાથ અને عَيْنُ الله  અલ્લાહની આંખો વિગેરેને શાબ્દિક અર્થમાં લેવા માટે નથી બલકે તે એવા લોકોની ફઝીલત દર્શાવે છે કે જેના માટે તે લકબો ઇસ્તેમાલ કરવામાં આવ્યા હોય.

સંદર્ભો

  • અલ નીહાયા ફી ગરીબુલ હદીસ વલ અસર લેખક ઇબ્ને અસીર ભાગ – ૩ પાના ૩૩૨
  • અલ મુસન્નફ લેખક અબ્દુલ રઝ્ઝાક સન’આઈ ભાગ ૧૦ પાના ૪૧૦
  • કન્ઝુલ ઉમ્માલ ભાગ ૫ પાના ૪૬૨
  • તારીખ મદીના દમિશ્ક ભાગ ૧૭ પાના ૪૨
  • જવાહેરુલ માતાલીબ ભાગ ૧ પાના ૧૯૯
  • જામેઉલ અહાદીસ ભાગ ૨૬ પાના ૨૯
  • જામેઅ મોઆમીર બિન રાશીદ ભાગ ૧ પાના ૧૪૪
  • લીસાનુંલ અરબ ભાગ ૧૩ પાના ૩૦૯
  • મુદાખીલ ફીલ લુગત લેખક મોહમ્મદ અબ્દુલ વાહીદ ભાગ પાના ૪૯
  • અલ અન્મ્બાઉલ મુસ્તતાબ લેખક ઇબ્ને સય્યદ અલ કુલ, પાના ૬૨ શર્હ એહ્કાકુલ હક્ક થી નકલ, ભાગ ૮ પાના ૬૬૫ અને ભાગ ૩૧ પાના ૪૯૮ તથા ઝાખએરૂલ ઉક્બા પાના ૮૨
  • સીમ્તુલ નુજુમ અલ અવાલી ફી અન્મ્બાઉલ અવાઈલ,  ભાગ ૨ પાના ૨૮
  • અલ રીયાઝુન નઝરહ ભાગ ૧ પાના ૨૪૭
  • મુખ્તસર તારીખ દમિશ્ક ભાગ ૩ પાના ૬૬
  • અલ બાસાએર વલ ઝખાએર ભાગ ૧ પાના ૧૨૪ થોડા ફેરફાર સાથે

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*