ખિલાફત: રસુલ (સ.અ.વ.)ની જાનશીની કે……

વાંચવાનો સમય: 12 મિનિટ

હોદ્દાની વિશેષતા:

અગર કોઈ કોલેજ અથવા યુનિવર્સીટીમાં કોઈના જવાથી કોઈ જગ્યા ખાલી થાય અને તે જગ્યા માટે યોગ્ય વ્યકિતની જરિયાત હોય, ત્યારે તે જગ્યા અને હોદ્દા માટે જાહેરાત કરવામાં આવે છે ત્યારે ફકત જગ્યા અને હોદ્દો ખાલી છે તેવી જાહેરાત કરવામાં આવતી નથી બલ્કે તે હોદ્દા અને જગ્યાની ખુસુસીય્યતની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર જગ્યા ઈતિહાસના વિભાગમાં ખાલી થઈ હોય તો તેના માટે તેવી વ્યકિતની જરૂરત હોય છે જે ઈતિહાસના વિષયમાં નિપુણતા ધરાવતો હોય અને તેણે ઈતિહાસના વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યુ હોય. અગર વિજ્ઞાન વિભાગમાં કોઈ જગ્યા ખાલી થઈ હોય તો તેના માટે એક વૈજ્ઞાનિકની જરૂરત હોય છે. અગર સાહીત્ય વિભાગમાં કોઈ જગ્યા ખાલી થઈ હોય તો તેના માટે સાહીત્યકારની જરૂરત હશે. એવું નથી થતુ કે જગ્યા ઈતિહાસના પ્રોફેસરની ખાલી થઈ હોય અને તેની જગ્યાએ એક વૈજ્ઞાનિકની ભરતી કરી દેવામાં આવે. એવીજ રીતે જગ્યા અને હોદ્દાની સાથોસાથ શૈક્ષણીક લાયકાત અને અનુભવ કેટલો હોવો જોઈએ તેની પણ જાહેરાત કરવામાં આવે છે. અગર વિજ્ઞાન વિભાગમાં જગ્યા ખાલી થઈ હોય તો ઈતિહાસના વિષયનું જ્ઞાન અને ડીગ્રી ધરાવનારાઓ તે જગ્યા માટે અરજી નથી આપતા કારણ કે તે તેઓનું ક્ષેત્ર નથી. અગર તેઓ અરજી આપી પણ દે તો પણ પસંદ કરનાર કમીટી તેમની અરજીનો સ્વિકાર નહીં કરે, બલ્કે તેને રદ કરી નાખશે. તેમજ ઈન્ટરવ્યુમાં પણ ફકત તેજ લોકોને બોલાવવામાં આવશે જે તે વિષયમાં પારંગત હોય અને જરૂરી માપદંડમાં ખરા ઉતરે. અગર ઈતિહાસ વિભાગના હોદ્દા ઉપર એક વૈજ્ઞાનિકને અને એક વિજ્ઞાન વિભાગના હોદ્દા માટે કોઈ ઈતિહાસકારને બેસાડી દેવામાં આવે તો પરિસ્થિતિ શું થશે? તે બધાને ખબર છે.

રસુલ (...)ની જવાબદારીઓ:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના જાનશીનની નિમણુંક પહેલા એ જાણવુ જરૂરી છે કે રિસાલતના હોદ્દાની જવાબદારીઓ શું શું છે? જ્યાં સુધી હોદ્દાની ખાસિયતોની જાણકારી નહિં હોય ત્યાં સુધી સાચા અને યોગ્ય વ્યકિતની પસંદગી અયોગ્ય હશે.

હવે જ્યારે ખિલાફત રસુલે ખુદા (સ.અ.વ.)ની જાનશીનીની વાત છે તો એ જાણવુ ખુબજ જરૂરી છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની જવાબદારીઓ શું શું હતી? જ્યાં સુધી તે જવાબદારીઓની જાણકારી નહિ હોય ત્યાં સુધી જાનશીનની નિયુકિત શકય નથી.

કુરઆને કરીમે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની ઘણી બધી જવાબદારીઓ વર્ણવી છે. નીચે તેમાંથી અમૂકનું વર્ણન કરીએ છીએ.

1) વહીની તબ્લીગ:

સુરએ મુબારકે જુમ્આની બીજી આયતમાં કુરઆને કરીમે હઝરત પયગમ્બર (સ.અ.વ.)ની અમૂક જવાબદારીઓ બયાન ફરમાવી છે.

هُوَ   الَّذِيْ   بَعَثَ   فِي   الْأُمِّيِّيْنَ   رَسُوْلًا   مِّنْهُمْ   يَتْلُوْا   عَلَيْهِمْ   اٰيَاتِهٖ   وَيُزَكِّيْهِمْ   وَيُعَلِّمُهُمُ   الْكِتَابَ   وَالْحِكْمَةَ   وَإِنْ   كَانُوْا   مِنْ   قَبْلُ   لَفِيْ   ضَلَالٍ   مُّبِيْنٍ

“તે અલ્લાહ છે કે જેણે ઉમ્મુલકુરાવાળાઓ વચ્ચે તેમના માટે તેઓમાંથીજ એક રસુલ મોકલ્યા કે જે તેઓ માટે

1) અલ્લાહની આયતોની તિલાવત કરે છે,

2) તેઓના નફસોને પાકો-પાકીઝા કરે છે,

3) અને તેઓને કિતાબ અને હિકમતની તઅલીમ આપે છે.

જ્યારે કે તેઓ આ પહેલા ખુલ્લી ગુમરાહીમાં હતા.”

(સુરએ જુમ્આ 62:2)

અલ્લાહની આયતોની તિલાવત એટલેકે ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે જે આયતો કુરઆનના સ્વરૂપમાં નાઝીલ કરી છે તે આયતોની તિલાવત વડે લોકો સુધી અલ્લાહનો પયગામ પહોંચાડવો.

ઈસ્મતની જરૂરત:

અલ્લાહની આયતોને સંપૂર્ણ અમાનતદારીની સાથે પહોંચાડવા માટે ઈસ્મત જરૂરી છે. અગર નબી કે રસુલ મઅસુમ નહીં હોય અને ભુલ કે ખતાની જરા પણ શકયતા હશે તો તેમના સંદેશા ઉપર ભરોસો નહીં રહે. શું ખાત્રી કે આ સંદેશો સંપૂર્ણ સંદેશો છે કે પછી તેમાં કોઈ વધારો કે ઘટાડો થઈ ગયો છે અને અગર ભરોસો ઉઠી જાય તો સંદેશો મોકલવાનો હેતુ જ મરી જશે.

આથી આયતોની તબ્લીગ માટે નબી કે રસુલનું મઅસુમ હોવું જરૂરી છે.

2) શિક્ષણ આપવુ અને વહીને બયાન કરવી:

સુરએ જુમ્આની આયતમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની એક જવાબદારી આ રીતે બયાન કરવામાં આવી છે وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ અને તેઓ લોકોને કિતાબ અને હિકમતની તઅલીમ આપે છે.

એટલેકે રસુલ (સ.અ.વ.)ની જવાબદારી ફકત આયતોની તિલાવત કરવી અને લોકો સુધી પહોંચાડવું જ નથી બલ્કે આયતોની તિલાવતની સાથોસાથ તેની સ્પષ્ટતા કરવી અને તેની સમજણ આપવી પણ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની એક મહત્વની જવાબદારી છે. કારણ કે સંપૂર્ણ કુરઆનની તઅલીમ આપવાની છે એટલા માટે જરૂરી છે કે તઅલીમ આપનાર તેના તમામ અર્થો અને ગુઢાર્થોથી શ્રેષ્ઠ રીતે માહિતગાર હોવા જોઈએ. તેમજ કુરઆને કરીમમાં દરેક સુકી અને ભીની ચીઝ મૌજુદ છે અને દરેક વસ્તુનું બયાન તેમાં મૌજુદ છે એટલા માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું ઈલ્મ તે બધી બાબતોને ઘેરી લીધેલ હોવું જોઈએ. બલ્કે જે કિતાબના મતાલીબ (અર્થોનું) વધારે ઈલ્મ ધરાવતો હોય તે જ કિતાબની સારી રીતે તઅલીમ આપી શકે છે. કુરઆને કરીમની તિલાવતથી એ સ્પષ્ટ થાય છે કે અલ્લાહે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉપર કુરઆન સિવાય બીજી પણ બાબતો નાઝીલ કરી છે.

સુરએ નહલમાં ઈરશાદ છે:

وَ  أَنزَلْنَا   إِلَيْكَ   الذِّكْرَ   لِتُبَيِّنَ   لِلنَّاسِ   مَا   نُزِّلَ   إِلَيْهِمْ

“અને અમે તમારા ઉપર ‘ઝીક્ર’ નાઝીલ કર્યુ જેથી લોકો માટે તમે એ બાબતોને બયાન કરો જે તેઓ માટે નાઝીલ કરવામાં આવી છે.”

(સુરએ નહલ 16:44)

અર્થાત નાઝીલ કરવામાં આવેલ બાબતોની સ્પષ્ટતા કરવા માટે અલ્લાહે રસુલે અકરમ (સ.અ.વ.) ઉપર ‘ઝીક્ર’ નાઝીલ કર્યુ.

કુરઆને કરીમમાં કુલ્લીયાતનો ઝિક્ર છે પરંતુ તેની વિગત તો રસુલે અકરમ (સ.અ.વ.) એ બયાન ફરમાવી છે. કુરઆને કરીમમાં નમાઝ, ઝકાત, હજ્જ વિગેરેનું વર્ણન છે. પરંતુ તેની વિગત કુરઆને કરીમમાં નથી. નમાઝના તમામ અરકાન, ભાગો અને જરૂરી બાબતો, અઝાન તથા એકામત તે બધુ જ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ બયાન ફરમાવ્યુ છે. અલ્લાહે કદાચ એટલા માટે એ વ્યવસ્થા કરી હોય કે ઉમ્મત ફકત કુરઆને કરીમને લઈને પયગમ્બર (સ.અ.વ.)થી બેનીયાઝ ન થઈ જાય. કારણકે કુરઆને કરીમ એક હંમેશા બાકી રહેનારી કિતાબ છે એટલા માટે જ્યાં સુધી કુરઆને કરીમ મૌજુદ રહેશે તેના અર્થોની સ્પષ્ટતા માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) અથવા તેમના જ જેવા એક વ્યકિતની કયામતના દિવસ સુધી જરૂરિયાત વર્તાતી રહેશે.

કુરઆનમાં ઈસ્મતનું બયાન:

જેવી રીતે કુરઆનની આયતોની તબ્લીગ માટે રસુલનું મઅસુમ હોવું જરૂરી છે, તેવીજ રીતે તઅલીમ અને બયાનની પરિસ્થિતિમાં પણ કુરઆનના મોઅલ્લીમનું મઅસુમ હોવું જરૂરી છે. આ વિષયમાં કંઈપણ બયાન કરતા પહેલા એ વાતની સ્પષ્ટતા જરૂરી છે કે કુરઆને કરીમ વિષે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું બયાન એ કોઈ તફસીરકારના બયાનની જેવું નથી. કુરઆને કરીમના સિલસિલામાં બધાજ તફસીરકારોનું તમામ ઈલ્મ અને ઝીણવટપૂર્વકના બયાનો તફસીરકારની સમજ અને તેના ઈલ્મને જાહેર કરે છે. કોઈ એક પણ તફસીરકાર એમ નથી કહી શકતો કે આનાથી ખુદાનો આજ મકસદ છે. જયારે કે કુરઆને કરીમ વિષે રસુલ (સ.અ.વ.)ની દરેકે દરેક સ્પષ્ટતા અલ્લાહના મકસદની જાહેરાત છે. અસલમાં વાકયો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના છે અને સ્પષ્ટતા ખુદાવંદે આલમની છે. એટલે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) કુરઆનના મૂળ અર્થો બયાન કરે છે અને તેમનું બયાન એ અલ્લાહનું બયાન છે. આ આધારે કુરઆને કરીમની આયતોની જેમ તેમનું બયાન હુજ્જત છે.

હવે એ વાત આપમેળે સ્પષ્ટ થઈ જાય છે કે બયાનની પરિસ્થિતિમાં રસુલ (સ.અ.વ.) એ શા માટે મઅસુમ હોવું જોઈએ? જ્યારે રસુલ (સ.અ.વ.)ની હદીસ અલ્લાહની ઈચ્છા અને હેતુને બયાન કરી રહી છે તો રસુલ (સ.અ.વ.)નું મઅસુમ હોવું જરૂરી છે. નહિંતર એ વાતની શકયતા રહેશે કે ખુદાનાખ્વાસ્તા અલ્લાહનો મતલબ કંઈક અલગ હોય અને રસુલ (સ.અ.વ.)ની સ્પષ્ટતા કંઈક અલગ હોય. રસુલ (સ.અ.વ.)ની દરેક સ્પષ્ટતા 100% અલ્લાહના મકસદને જ જાહેર કરે છે.

3) વિલાયતે તશરઈ:

ખુદાવંદે આલમે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને ‘સાહેબે ઈખ્તેયાર’ બનાવીને મોકલ્યા છે. આમ તો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને આ સમગ્ર કાએનાત ઉપર વિલાયત અને ઈખ્તેયાર પ્રાપ્ત છે. આ કાએનાતનો એક એક કણ આસમાનની બલંદીથી લઈને ઝમીનની ઉંડાઈ સુધી દરેક પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના હુકમનો પાબંદ અને ફરમાંબરદાર છે. તેની સાથોસાથ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને ખુદાવંદે આલમે શરીઅતમાં પણ સાહેબે ઈખ્તેયાર બનાવ્યા છે. એટલે કે તેમની ઈતાઅત અને ફરમાંબરદારી કોઈપણ ચું કે ચાં વગર દરેક ઉપર વાજીબ અને જરૂરી ઠેરવી છે. આ વિષે કુરઆને કરીમની અમૂક આયતો જોઈએ:

(1)وَ   مَا   اٰتَاكُمُ   الرَّسُوْلُ   فَخُذُوْهُ   وَمَا   نَهَاكُمْ   عَنْهُ   فَانْتَهُوْا

“અને જે કાંઈ રસુલ તમને આપે તે લઈ લો અને જે વાતોથી રોકે તેનાથી દૂર રહો.”

(સુરએ હશ્ર 59:7)

‘જે કાંઈ રસુલ આપે’ આ વાકયને બીજા વાકય ‘જેનાથી રોકે’ ના મુકાબલામાં જોઈએ તો ‘નહી’ના (મનાઈ કરવાના) મુકાબલામાં ’અમ્ર’(હુકમ) છે. એટલે કે રસુલ (સ.અ.વ.) જે વાતનો હુકમ આપે તેની ઈતાઅત કરવી વાજીબ છે અને જે વાતોની મનાઈ ફરમાવે તેનાથી દૂર રહેવું વાજીબ છે. જો કે આ આયતમાં અમ્ર અને નહી માટે રસુલ (સ.અ.વ.) માટે કોઈ શરત લગાવવામાં આવી નથી. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે રસુલ (સ.અ.વ.)ની ઈતાઅત બિનશરતી વાજીબ છે અને રસુલ (સ.અ.વ.)ના હુકમ સામે કોઈને પણ કોઈ સવાલ કરવાનો કોઈ હક નથી.

(2)وَ   مَا   كَانَ   لِمُؤْمِنٍ   وَلَا   مُؤْمِنَةٍ   إِذَا   قَضَى   اللهُ   وَرَسُوْلُهٗ   أَمْرًا   أَنْ   يَّكُوْنَ   لَهُمُ   الْخِيَرَةُ   مِنْ   أَمْرِهِمْط   وَ   مَن   يَعْصِ   اللهَ   وَرَسُوْلَهٗ   فَقَدْ   ضَلَّ   ضَلَالًا   مُّبِيْنًا

“કોઈપણ મોઅમીન મર્દ કે મોઅમીન ઔરતને એ ઈખ્તીયાર નથી કે જ્યારે અલ્લાહ કે તેના રસુલ કોઈ હુકમ આપે તો તેની સામે તેના અમ્રોમાં પોતાની કોઈ રાય રજુ કરે અને જે પણ અલ્લાહ અને તેના રસુલની નાફરમાની કરશે તો યકીનન તે ખુલ્લી ગુમરાહીમાં હશે.”

(સુરએ અહઝાબ 33:36)

આ આયત ઉપર ધ્યાન આપો:

أَنْ   يَّكُوْنَ   لَهُمُ   الْخِيَرَةُ અગર કોઈ મોઅમીનના વ્યકિતગત મામલામાં પણ અલ્લાહ અને રસુલ કોઈ હુકમ આપે તો તેની સામે બીજા કોઈના હુકમની કોઈ હૈસીય્યત નથી. તેને અલ્લાહ અને રસુલના મુકાબલામાં પોતાનો કોઈ મત કે અભિપ્રાય આપવાનો કોઈ ઈખ્તેયાર કે કોઈ હક છે જ નહિ.

إِذَا   قَضَى   اللهُ   وَرَسُوْلُهٗ   أَمْرًا અહીં હુકમને બિનશરતી વર્ણવવામાં આવ્યો છે. અલ્લાહ અને તેના રસુલના ઈખ્તેયાર કંઈ અમૂક વસ્તુઓ પૂરતા મયર્દિીત નથી બલ્કે મોઅમીનની ઝીંદગીનો દરેક ભાગ તેમના ઈખ્તેયાર હેઠળ છે. ઝીંદગીની કોઈપણ બાબત પછી તે વ્યકિતગત હોય, સામુહિક હોય, આર્થિક હોય, સામાજીક હોય, દીની હોય કે દુન્યવી વિગેરે દરેક બાબતમાં અલ્લાહ અને તેના રસુલને હક અને ઈખ્તેયાર પ્રાપ્ત છે.

اَللهُ  وَ  رَسُوْلُهٗ અહીં અલ્લાહ પછી તરતજ રસુલ કહેવામાં આવ્યું છે. તે એ હકીકત તરફ ઈશારો કરે છે કે અમ્ર અને નહી ના સિલસિલામાં ખુદાવંદે આલમે પોતે જ રસુલ (સ.અ.વ.)ને સ્વતંત્ર હૈસીય્યત, હક અને ઈખ્તેયાર આપ્યો છે. અલ્લાહે પોતાની જેમ રસુલ (સ.અ.વ.)ની પણ ઈતાઅતને વાજીબ અને જરૂરી ઠેરવી છે. એટલે કે રસુલે ખુદા (સ.અ.વ.)નો હુકમ પોતે એક સ્વતંત્ર હૈસીય્યત ધરાવે છે. રસુલે ખુદા (સ.અ.વ.) અલ્લાહની તરજુમાની કરનાર પણ છે અને તેમની પોતાની પણ એક સ્વતંત્ર શાન છે. જેવી રીતે અલ્લાહના હુકમની મુખાલેફત હરામ છે તેવીજ રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના હુકમની મુખાલેફત પણ હરામ છે.

એ વાત જગજાહેર છે કે આ પ્રકારની બિનશરતી ઈતાઅત ઈસ્મત વગર શકય નથી. જેવી રીતે અલ્લાહના ‘અમ્ર’ અને ‘નહી’માં કોઈપણ પ્રકારની ભુલ, શક, ખતા કે ભુલી જવાનું શકય નથી તેવી જ રીતે રસુલે ખુદા (સ.અ.વ.)ના એહકામમાં પણ કોઈપણ પ્રકારની ભુલ, શક, ખતા કે ભુલી જવાનો અવકાશ નથી.

(3)اَلنَّبِيُّ   أَوْلىٰ   بِالْمُؤْمِنِينَ   مِنْ   أَنفُسِهِمْ

“નબીએ અકરમ (સ.અ.વ.)ને મોઅમીનોના નફસો ઉપર ખુદ તેઓ કરતા વધારે ઈખ્તેયાર પ્રાપ્ત છે.”

(સુરએ અહઝાબ 33:6)

અગર કોઈ અલ્લાહ અને તેના રસુલ ઉપર ઈમાન ધરાવતો હોય તો તેના જાન, માલ અને તેનાથી સંબંધિત બધી વસ્તુઓ ઉપર રસુલ (સ.અ.વ.)ને વધારે ઈખ્તેયાર પ્રાપ્ત છે. મોઅમીન ઉપર વાજીબ છે કે પોતાના દરેક ગમા-અણગમા ઉપર રસુલ (સ.અ.વ.)ના ગમા-અણગમાને અગ્રીમતા આપે. આ આયતે કરીમામાં જે ‘ઉલુવીય્યત’ (ઈખ્તેયાર)નું વર્ણન કરવામાં આવ્યું છે તે કોઈ એક ખાસ વિષય માટે નથી, બલ્કે સ્વતંત્ર રીતે અને સંપૂર્ણ બિનશરતી છે.

(4)يَا   أَيُّهَا   الَّذِيْنَ   آمَنُوْا   أَطِيْعُوا   اللهَ   وَ  أَطِيْعُوا   الرَّسُوْلَ

“અય ઈમાન લાવનારાઓ! અલ્લાહની ઈતાઅત કરો તથા તેના રસુલ (સ.અ.વ.)ની ઈતાઅત કરો.

(સુરએ નીસા 4:59)

આ આયતે કરીમામાં પણ અલ્લાહની ઈતાઅતની સાથે રસુલે ખુદા (સ.અ.વ.)ની સ્વતંત્ર ઈતાઅતનો ઝિક્ર થયો છે. સ્વતંત્ર ઝિક્ર એ હકીકત તરફ ઈશારો કરે છે કે અલ્લાહના હુકમોની પાબંદીની સાથે રસુલ (સ.અ.વ.)ના હુકમો પણ એક સ્વતંત્ર હૈસીય્યત ધરાવે છે. જો કે આ સ્વતંત્ર હૈસીય્યત અલ્લાહની અતા કરેલી છે અને અલ્લાહે તેમની ઈતાઅતને સ્વતંત્ર રીતે વાજીબ કરાર દીધી છે. એ વાત ધ્યાનમાં રહે કે રસુલ (સ.અ.વ.)ની ઈતાઅત અલ્લાહના મુકાબલામાં નથી. બલ્કે અલ્લાહની ઈનાયતોથી અને તેના હુકમથી રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત વાજીબ છે. હવે અગર કોઈ તેમની સ્વતંત્ર ઈતાઅતનો ઈન્કાર કરે તો તે ખરેખર તે અલ્લાહના અતા કરેલા ઈખ્તેયાર અને હક્કોનો ઈન્કાર કરી રહ્યો છે.

મોઅમીનોને સંબોધન:

આપણે ઉપરોકત આયતો ઉપર ધ્યાન આપીએ કે દરેક જગ્યાએ સંબોધન મોઅમીનોથી છે. અલ્લાહ એ જાણે છે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની ઈતાઅત એજ કરશે, રસુલ (સ.અ.વ.)ના મુકાબલામાં પોતાનો કોઈ ઈખ્તેયાર નથી એજ એવું માનશે અને તેમને પોતાના જાન અને માલ ઉપર એજ અગ્રીમતા અને સતા આપશે કે જે મોઅમીન હશે. ઈમાનની શર્ત અને મોઅમીનની ઓળખાણ રસુલે ખુદા (સ.અ.વ.)ની બિનશરતી ઈતાઅત છે. હવે અગર કોઈ રસુલે ખુદા (સ.અ.વ.)ના હુકમનો ઈન્કાર કરે, તેમની નાફરમાની કરે અથવા ખુદાનાખ્વાસ્તા તેમના હુકમની સામે પોતાનો કોઈ અભિપ્રાય રજુ કરે તો કુરઆને કરીમ મુજબ તે ضَلَالٍ مُبِیْنٍ માં ગિરફતાર છે. એટલે કે ફકત ગુમરાહી જ નહી પરંતુ ખુલ્લી ગુમરાહીમાં.

જાનશીન કોણ?

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જવાબદારીઓમાં

  1. એહકામની તબ્લીગ, આયતોની તિલાવત.
  2. એહકામની સમજુતી, ઈલ્મ અને હિકમતની તઅલીમ.
  3. વિલાયતે તશરઈ

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રેહલત પછી જે સિલસિલો કપાઈ ગયો તે એહકામની તબ્લીગ અને આયતોની તિલાવતનો છે. એટલા માટે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઝીંદગીમાં દીન સંપૂર્ણ થઈ ગયો. આથી હવે આયતોની તિલાવત અથવા નવા દીન અને એહકામનો કોઈ સિલસિલો નથી. પરંતુ ખુદ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ પોતાની ઝીંદગી દરમ્યાન એહકામની તબ્લીગ અને કુરઆનની તિલાવતની જવાબદારી અદા કરી છે. તે સિવાય એહકામનું બયાન, કિતાબ અને હિકમતની તબ્લીગના સિલસિલો તો કયામતના દિવસ સુધી બાકી રેહનાર છે. જેની પાસે કિતાબ અને હિકમતનું ઈલ્મ હશે તેનીજ પાસે વિલાયતે તશરઈ પણ હશે.

તો હવે સવાલ એ થાય કે પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન કોણ છે?

જવાબ બિલ્કુલ સ્પષ્ટ અને જાહેર છે. ફકત તેજ શખ્સ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નો જાનશીન હોઈ શકે છે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જેમ કુરઆને કરીમનું સંપૂર્ણ ઈલ્મ ધરાવતો હોય, જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જેમ કિતાબ અને હિકમતની તઅલીમ આપી શકતો હોય, જેનું ઈલ્મ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની જેમ અલ્લાહનું અતા કરેલું હોય, જેણે દુનિયામાં તઅલીમ હાસીલ ન કરી હોય બલ્કે જેને રસુલે ખુદા (સ.અ.વ.) એ અલ્લાહના હુકમથી કિતાબ અને હિકમતની તઅલીમ આપી હોય.

સુરએ બરાઅતની તબ્લીગ:

જ્યારે સુરએ બરાઅત (સુ. તૌબા)ની શરૂઆતની આયતો નાઝીલ થઈ જેમાં મુશ્રીકોને સંબોધીત થઈને ખુદા અને રસુલની બેઝારીનું વર્ણન કરવામાં આવ્યું હતું અને મક્કએ મુકર્રમામાં હજ્જે અકબરના મૌકા ઉપર તે આયતોને મજમામાં સંભળાવવાની હતી. એટલે કે મુશ્રીકોના સમૂહમાં, તેઓનાં કેન્દ્રમાં તેઓથી બરાઅત (બેઝારી-દુરી)નું એઅલાન કરવાનું હતું.

એહલે સુન્નતના આલીમો અબ્દુલ્લાહ બીન ઉમરથી આ પ્રસંગ આ પ્રમાણે વર્ણવ્યો છે.

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ અબુબક્ર અને ઉમરને મક્કા મોકલ્યા. પરંતુ જે કાગળમાં આયતો હતી તે કાગળ અબુબક્રને આપ્યો. તેઓ બન્ને તે કાગળ લઈને મક્કા તરફ રવાના થઈ ગયા. હજુ થોડા જ દૂર પહોંચ્યા હતા કે તેઓએ જોયું કે એક શખ્સ તેઓની તરફ આવી રહ્યો છે કે જે ઉંટ ઉપર સવાર છે. તેઓએ પુછયું તમે કોણ છો?

તે શખ્સે કહ્યું: હું અલી છું. અય અબુબક્ર તમે તે કાગળ મને આપી દો. અબુબક્ર એ પુછયું: શું કંઈ વાત થઈ છે? અલી (અ.સ.) એ જવાબ આપ્યો: તે વિષે મને કંઈ ખબર નથી. હઝરત અલી (અ.સ.) એ તે કાગળ તેઓ પાસેથી લીધો અને મક્કા તરફ રવાના થઈ ગયા. ઉમર અને અબુબક્ર મદીના પરત આવી ગયા અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થઈને કહ્યું:

‘શું અમારા વિષે કોઈ ખાસ વાત નાઝીલ થઈ છે? કોઈ ખાસ બનાવ  બન્યો છે? પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું: નહિ. પરંતુ

قِیْلَ   لِیْ   اَنَّہٗ      لَا   یُبَلِّغُ   عَنْكَ   اِلَّا   اَنْتَ   اَوْ   رَجُلٌ   مِّنْكَ

‘મને કહેવામાં આવ્યું કે તમારી તરફથી કોઈ તે આયતોને નથી પહોંચાડી શકતું સિવાય તમે પોતે અથવા તમારામાંથી કોઈ શખ્સ.’ (એટલે એવો માણસ કે જે તમારાથી મીન્નીય્યત (તમારામાં) નો દરજ્જા ધરાવતો હોય)’

(મુસ્તદરકે હાકીમ નેશાપુરી, ભાગ-3, પા. 51)

પરંતુ આજ પ્રસંગને એહલે સુન્નતના બીજા આલીમોએ હઝરત અલી (અ.સ.)ની ઝબાનથી બયાન કર્યો છે. જેમાં બિલ્કુલ સ્પષ્ટ છે કે રસુલે ખુદા (સ.અ.વ.)થી કોઈએ કહ્યુ હતું.

જ્યારે અબુબક્ર અને ઉમરે તે સિલસિલામાં રસુલે ખુદા (સ.અ.વ.)ને પુછયું: શું અમારા વિષે કોઈ ખાસ વાત નાઝીલ થઈ છે? તો તે સમયે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: નહિં. પરંતુ જીબ્રઈલે અમીન મારી પાસે આવ્યા હતા અને ફરમાવ્યું:

لَنْ   يُؤَدِّيْ   عَنْكَ   اِلَّا   اَنْتَ   اَوْ   رَجُلٌ   مِنْكَ

‘તમારી તરફથી તે પયગામને કોઈ નથી પહોંચાડી શકતુ સિવાય તમે પોતે અથવા તમારામાંથી કોઈ શખ્સ.’

(મુસ્નદે અહમદ ભાગ-1 પા. 101, સોનને તીરમીઝી ભાગ-4 પા. 339 હ. 5086)

અલ ગદીરમાં અલ્લામા અમીની, ભાગ-6, પા. 338 થી 350 ઉપર આ બનાવને એહલે સુન્નતના 70 આલીમોથી નોંધ્યો છે. આ બનાવથી એ વાત સ્પષ્ટ થાય છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની એક જવાબદારી વહીની તબ્લીગમાં, આયતોની તિલાવતમાં અગર ખુદાએ કોઈને જાનશીન બનાવ્યા છે તો તે ફકત અલી (અ.સ.)ને બનાવ્યા છે અને બીજાઓથી તે આયતોને પરત લઈને ઘણી બધી હકીકતોને સ્પષ્ટ કરી દીધી છે. પરંતુ તેઓ માટે કે જેની પાસે હકીકત નિહાળવાનું દીલ હોય.

તઅલીમ અને વહીની સમજુતી:

સુરએ રઅદની 43મી આયતમાં ખુદાવંદે આલમનો ઈરશાદ છે:

وَيَقُوْلُ   الَّذِيْنَ   كَفَرُوْا   لَسْتَ   مُرْسَلًا   ۚ   قُلْ   كَفىٰ   بِاللهِ   شَهِيْدًا   بَيْنِيْ   وَبَيْنَكُمْ   وَمَنْ   عِندَهٗ   عِلْمُ   الْكِتَابِ

“જેઓએ કુફ્ર કર્યું છે તેઓ કહે છે કે તમો રસુલ નથી. તેના જવાબમાં તમે કહી દો કે અમારી અને તમારી વચ્ચે (મારી રિસાલતની) ગવાહી માટે અલ્લાહ કાફી છે અને તે શખ્સ કે જેની પાસે ઈલ્મુલ કિતાબ છે.”

સુરએ હુદની 17મી આયતમાં એ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે તે ગવાહ અને સાક્ષી ખુદ રસુલ (સ.અ.વ.)ના ખાનદાનમાંથી છે. ઈરશાદ થાય છે:

اَفَمَنْ   كَانَ   عَلٰي   بَيِّنَۃٍ   مِّنْ   رَّبِّہٖ   وَيَتْلُوْہُ   شَاہِدٌ   مِّنْہُ

“જેની પાસે તેના રબ તરફથી કોઈ સ્પષ્ટ અને રોશન દલીલ છે અને જે પોતાની સાથે સાથે પોતાનાઓમાંથી જ ગવાહ રાખે છે.”

شَاہِدٌ مِّنْہُ ગવાહ તેમના ખાનદાનમાંથી હોય અથવા તેઓમાંથી હોય. અગાઉ વર્ણન થઈ ચુકયુ છે કે સુરએ બરાઅતની તબ્લીગ વિષે જનાબે જીબ્રઈલે અમીને જે પયગામ આપ્યો હતો કે આ આયતો તમે પોતે પહોંચાડો અથવા رَجُلٌ مِنْكَ તમારામાંથી એક હોય તે પહોંચાડે. ઈતિહાસ ગવાહ છે ‘ مِنْكَ’ ના મિસ્દાક હઝરત અલી (અ.સ.) છે. તેવી જ રીતે અહીં પણ  شَاہِدٌ مِّنْہُ થી અલી (અ.સ.) જ મુરાદ છે. કારણ કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ ઈરશાદ ફરમાવ્યું છે:

اِنَّ   عَلِیًّا   مِنِّیْ   وَ   اَنَا   مِنْہُ

‘બેશક અલી (અ.સ.) મારાથી છે અને હું અલી (અ.સ.)થી છું.’

આ આધારે સુરએ રઅદની આયતમાં એ ગવાહનો ઝિક્ર થઈ રહ્યો છે કે જેની પાસે આખી કિતાબનું ઈલ્મ છે તે હઝરત અલી (અ.સ.) છે. આ જ સિલસિલાની બે રિવાયતો જુઓ.

1) અબુ સઈદે ખુદરીની રિવાયત છે કે મેં રસુલે ખુદા (સ.અ.વ.)થી આયત وَ مَنْ عِنْدَہٗ عِلْمُ الْكِتَاب ના વિષે પુછયું કે આનાથી મુરાદ કોણ છે? તો તેઓએ ફરમાવ્યું:

ذٰلِكَ   اَخِیْ   عَلِیِّ   بْنِ   اَبِیْ   طَالِبٍؑ

‘તેનાથી મારા ભાઈ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) મુરાદ છે.’

– (શવાહેદુત્તન્ઝીલ હસ્કાની ભાગ-1 પા. 40 હ 422, યનાબીઉલ મવદ્દત ભાગ-1 પા. 307 પ્ર. 30 હ. 7)

2) એહલે સુન્નતના બુઝુર્ગ આલીમ, તફસીરકાર અને લેખક જનાબ જલાલુદ્દીન સીયુતિ એ પોતાની મશ્હુર તફસીર ‘દુર્રે મન્સુર ભાગ-3 પા. 324 માં સુ. હુદની 17મી આયત (شاہد منہ)ની નીચે આ રિવાયત નકલ કરી છે.

ઈબ્ને અબી હાતીમ ઈબ્ને મરદવય અને અબુ નોએમે ‘અલ મઅરેફહ’માં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી આ રિવાયત નકલ કરી છે કે હઝરતે ફરમાવ્યું:

‘કુરૈશના દરેક મર્દ વિષે કુરઆને કરીમની અમૂક આયતો નાઝીલ થઈ છે. તે સમયે એક શખ્સે આપને પુછયું કે તમારા બારામાં કઈ આયત નાઝીલ થઈ છે? તો ફરમાવ્યું: શું તમે સુરએ હુદ નથી પઢયો.

اَفَمَنْ كَانَ عَلٰي بَيِّنَۃٍ مِّنْ رَّبِّہٖ وَيَتْلُوْہُ شَاہِدٌ مِّنْہُ

આ આયતમાં عَلٰي بَيِّنَۃٍ مِّنْ رَّبِّہٖ ’ થી મુરાદ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) છે અને شَاہِدٌ مِّنْہُ થી મુરાદ હું છું.’

આ રિવાયતોથી એ વાત વધારે સ્પષ્ટ થાય છે કે જેની પાસે આખી કિતાબનું ઈલ્મ છે. એટલે કે આખા કુરઆનનું ઈલ્મ, આખી કાએનાતનું ઈલ્મ, પહેલાનું અને છેલ્લાનું ઈલ્મ છે તે ફકત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે. આ ઉપરાંત રસુલે ખુદા (સ.અ.વ.)ની આ હદીસ કે જે ખુબજ ભરોસાપાત્ર અને મુતવાતીર હદીસોમાંથી છે.

اَ نَا   مَدِیْنَۃُ   الْعِلْمِ   وَ   عَلِیٌّ   بَابُہَا

‘હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ 40, પાના 201, હ. 4)

  1. એક રિવાયતમાં હઝરત અલી(..) એ ફરમાવ્યું:

અય લોકોએ પહેલા કે તમે મને ન પામો જે ચાહો તે પુછી લોઆ ઈલ્મનો ખઝાનો છેઆ રસુલે ખુદા (...)નું લોઆબ છેરસુલે ખુદા (...) એ મને દાણો દાણો ખવડાવ્યો છે.’

(તૌહીદે સદુકપા. 298)

  1. એક રિવાયતમાં ઈમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું:

‘હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને એક હર્ફ શીખવ્યો. જેમાંથી હજાર હર્ફ ખુલી ગયા અને વળી દરેક હજાર હર્ફમાંથી પણ હજાર હર્ફ.’

(બેહારૂલ અન્વાર, ભાગ 26, પાના 30, હ. 39)

હવે એ વાત બિલ્કુલ સ્પષ્ટ થઈ ગઈ કે ‘તઅલીમ અને બયાને વહ્ય’માં અગર કોઈ રસુલે ખુદા (સ.અ.વ.)ના જાનશીન થઈ શકે છે તો તે ફકત હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે. સમગ્ર ઈસ્લામી ઉમ્મતમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની પછીથી લઈને આજ સુધી એવું કોઈ નથી કે જેની પાસે હઝરત અલી (અ.સ.)થી વધારે કિતાબનું ઈલ્મ હોય. બલ્કે કોઈ પણ ઈલ્મમાં કોઈ પણ શખ્સ હઝરત અલી (અ.સ.)ની જેવું નથી.

અગર ખિલાફત રસુલે ખુદા (સ.અ.વ.)ની જાનશીની છે તો જાનશીનીના હોદ્દા માટે તે હોદ્દાની યોગ્ય ખાસિયતો હોવી જરૂરી છે અને તે ફકત હઝરત અલી (અ.સ.) છે.

વિલાયતે તશરઈમાં જાનશીની:

જ્યારે વહીને બયાન કરવામાં અને તેની તઅલીમમાં હઝરત અલી (અ.સ.)ની જાનશીની પ્રકાશિત દિવસની જેમ સ્પષ્ટ થઈ ગઈ તો વિલાયતે તશરઈમાં પણ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) જ જાનશીન હોઈ શકે છે. આ વાસ્તવિકતાને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ મયદાને ગદીરમાં           18 ઝીલહજ હી.સ. 10માં સહાબીઓના એક મોટા મજમામાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પોતાના હાથો ઉપર બલંદ કરીને ફરમાવ્યું હતું.

مَنْ   كُنْتُ   مَوْلَاہُ   فَہٰذَا   عَلِیٌّ   مَوْلَاہُ

‘જેનો જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) પણ મૌલા છે.’

અર્થાત જે વિલાયત અને હુકુમતનો ઈખ્તેયાર મને છે અને જે રીતે હું તમારા નફસો ઉપર તમારા કરતા વધારે અધિકાર ધરાવું છું. મારી હાજરીમાં બીજા કોઈને આ હુકુમત અને વિલાયતનો હક નથી. દરેક ઉપર મારી ઈતાઅત વાજીબ છે અને દરેક માટે મારી નાફરમાની હરામ છે. તે બધાજ અધિકારો અને ઈખ્તેયાર મારા પછી તરતજ કોઈ પણ પ્રકારના ફાસલા વગર હઝરત અલી (અ.સ.)ને પ્રાપ્ત છે.

ટૂંકમાં એ કે અગર ખિલાફતે રસુલે ખુદા (સ.અ.વ.) જાનશીની છે તો જાનશીનીની બધીજ ખુસુસીયાત અને લાયકાતો ફકત હઝરત અલી (અ.સ.)માં જ જોવા મળે છે અને ફકત તેઓ જ રસુલ (સ.અ.વ.)ના સાચા જાનશીન છે અને અગર ખિલાફત બીજા કોઈની જાનશીની હોય તો આપણે તેની સાથે શું લેવા-દેવા?

આ દુનિયામાં ઘણું બધુ થતું રહે છે. લોકો પથ્થરોને પણ પોતાના દેવતા અને ખુદા માને છે.

وَمَا   عَلَیْنَا   اِلَّا   الْبَلَاغُ

‘આપણું કામ તો ફક્ત પયગામ પહોંચાડવાનું છે.’

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*