ઇમામ હુસૈન (અ.સ.) ની શહાદતનો પાયો નાખવામાં સકીફા અને ઇસ્લામના પ્રથમ બે શાસકોની ભૂમિકા સંપૂર્ણપણે સાબિત થયેલી છે. આ હકીકતને ખુદ અહલે તસન્નુન (સુન્ની) વિદ્વાનોએ પણ સ્વીકારી છે.
અલ-કામિલના લેખક, ઇઝ્ઝ અલ-દીન ઇબ્ન અસીરના નાના ભાઈ અને પ્રખ્યાત અહલે તસન્નુન વિદ્વાન ઝિયા અલ-દીન ઇબ્ન અસીર અલ-જઝરી નોંધે છે:
“જાણી લ્યો કે હુસૈન (અ.સ.) કરબલાના દિવસે શહીદ ન થયા હતા બલ્કે તેઓ તો સકીફાના દિવસે જ શહીદ કરી દેવામાં આવ્યા હતા.”
(અલ-વશિય્યા અલ-મરકૂમ ફી હલ્લ અલ-મનઝૂમ, પાનું ૩૮૩)
આમ છતાં, બીજા શાસક – ઉમર ઇબ્ને ખત્તાબ – દ્વારા લેવાયેલો એક ચોક્કસ નિર્ણય એવો હતો જે સીધે સીધો કરબલાના કત્લેઆમ તરફ દોરી ગયો.
એ (પ્લેગ) મહામારી જેણે બધું જ બદલી નાખ્યું
આ બધું એક પ્લેગ (મહામારી)થી શરૂ થયું, જે મુસ્લિમ સમુદાયને અસર કરનારો પ્રથમ પ્લેગ (મહામારી) હતો, એટલે કે પેલેસ્ટાઇન (આજનું સીરિયા) માં આવેલો ‘અમવાસ’ નો પ્લેગ.
યરૂસલેમ (બૈતુલ મુકદ્દસ) ની નજીક આવેલો પેલેસ્ટાઇનનો અમવાસ વિસ્તાર હિજરી સન ૧૮ માં બીજા શાસકના સમયમાં મુસ્લિમ લશ્કર દ્વારા જીતવામાં આવ્યો હતો. આ પ્રદેશ રોમનો (બાયઝેન્ટાઇન) સામેના યુદ્ધમાં જીતવામાં આવ્યો હતો, જેઓ અગાઉ તેના પર નિયંત્રણ ધરાવતા હતા.
અમવાસ શહેર ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણ કે તે રોમન સૈનિકો માટે એક કેન્દ્રીય શહેર હતું, જ્યાંથી પગાર વહેંચણી, શાસકની સૂચનાઓ મેળવવી અને અન્ય વ્યૂહાત્મક તેમજ વહીવટી કાર્યો થતા હતા. તેથી જ્યારે મુસ્લિમ સેનાએ તેને જીતી લીધું, ત્યારે તે તેમના માટે એક મોટી જીત હતી.
અમવાસ ક્ષેત્રમાં બીજા શાસકના વહીવટકર્તા (ગવર્નર) અન્ય કોઈ નહીં પણ રસૂલે ખુદા (સ.અ.વ.) ના એક સહાબી અબુ ઉબૈદાહ અલ-જરરાહ હતા. અબુ ઉબૈદાહ પ્રથમ બે શાસકોના કટ્ટર સમર્થક હતા અને સકીફામાં આ બંને શાસકોની તરફેણમાં અભિપ્રાય ફેરવવામાં તેમની મુખ્ય ભૂમિકા ઇતિહાસમાં સારી રીતે નોંધાયેલી છે. રસૂલે ખુદા (સ.અ.વ.) ની શહાદત પછી, અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પાસેથી ખિલાફતને સફળતાપૂર્વક ફેરવી નાખવામાં તેઓ આ શાસકો માટે એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા હતા.
તેવી જ રીતે, તેઓ ‘હદીસે અશરા મુબશ્શરહ’ મુજબ જન્નતની ખાતરી મેળવનારા કથિત દસ સાથીઓમાંના એક તરીકે જાણીતા છે. મુસ્લિમ સ્ત્રોતોમાં એક વિશ્વસનીય કથન અનુસાર, બીજા શાસકે કહ્યું હતું કે જો અબુ ઉબૈદાહ મારા પછી જીવતા હોત, તો મેં તેમને ખલીફા બનાવ્યા હોત. આ અબુ ઉબૈદાહ અલ-જરરાહ આજે પેલેસ્ટાઇનમાં યરૂસલેમની નજીક આવેલા અમવાસ વિસ્તારના કમાન્ડર બન્યા.
પરંતુ મુસ્લિમોની કમનસીબીએ, આ પ્લેગ ફેલાવા લાગ્યો અને હજારો લોકોના મોત થવા લાગ્યા. બીજા શાસક તે સમયે મદીનામાં હતા. જ્યારે તેમણે આ સાંભળ્યું, ત્યારે તેઓ તે વિસ્તાર તરફ રવાના થયા. સરહદ પર પહોંચતા જ તેઓ મુસ્લિમ સેનાના કેટલાક વડાઓ જેવા કે અમ્ર ઇબ્ન આસ, યઝીદ ઇબ્ને અબી સુફિયાન, ખાલિદ ઇબ્ન વલીદ અને અબુ ઉબૈદાહ અલ-જરરાહને મળ્યા. સુહૈલ ઇબ્ન ઉમૈર પણ તેમની વચ્ચે હતા – આ એ જ સુહૈલ હતા જેઓ સુલ્હે હુદૈબિયા (હુદૈબિયાની સંધિ) માં ઇસ્લામના પયગંબર (સ.અ.વ.) ની સામે ઉભા હતા.
તેઓએ ઉમરને પ્લેગની સ્થિતિ વિશે ખબર આપ્યા અને જણાવ્યું કે પ્લેગ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ઘણા લોકો મરી રહ્યા છે. ઉમરે અબુ ઉબૈદાહ અલ-જરરાહને આદેશ આપ્યો – “અહીંથી નીકળો, મારી સાથે ચાલો, આપણે મદીના પાછા જઈ રહ્યા છીએ.”
અબુ ઉબૈદાહ: “હું સૈનિકોને કેવી રીતે છોડી શકું? હું તેમને આમને આમ કેવી રીતે ત્યજી શકું?”
ઉમર: “હું તમને કહું છું કે આપણે અહીંથી નીકળીને પાછા જવું જ પડશે.”
અબુ ઉબૈદાહ: “શું તમે અલ્લાહની તકદીર (કઝા) થી ભાગી રહ્યા છો?”
ઉમર: “મને નિરાશા થઈ કે તમે આવી વાત કહી, કાશ તમારા સિવાય બીજા કોઈએ આવી વાત કહી હોત. હું અલ્લાહની કઝા (નક્કી કરેલી આફત) થી ભાગીને અલ્લાહના કદર (નક્કી કરેલા નસીબ) તરફ જઈ રહ્યો છું.”
રસૂલે ખુદા (સ.અ.વ.) ના અન્ય એક સાથી અબ્દુર રહેમાન ઇબ્ને ઔફે કહ્યું – “મેં અલ્લાહના રસૂલ (સ.અ.વ.) ને કહેતા સાંભળ્યા છે કે – જ્યારે તમે કોઈ ચોક્કસ શહેરમાં પ્લેગ વિશે સાંભળો ત્યારે તેમાં પ્રવેશશો નહીં, અને જો તમે તેની અંદર હોવ તો ત્યાંથી બહાર ન નીકળો, શહેર છોડશો નહીં.”
અબુ ઉબૈદાહએ કહ્યું – “હું અહીં જ રહીશ, હું લશ્કર છોડીને ક્યાંય નહીં જાઉં.”
ઉમર ત્યાંથી નીકળી ગયા અને મદીના પહોંચ્યા પછી અબુ ઉબૈદાહને પાછા આવવા માટે આગ્રહ કરતો પત્ર લખ્યો, પણ તેમણે ના પાડી દીધી. આખરે અબુ ઉબૈદાહનું પ્લેગના કારણે અવસાન થયું.
તેમના પછી, અન્ય એક સાથી મુઆઝ ઇબ્ને જબલ તે વિસ્તારની કમાન સંભાળે છે. મુઆઝ અને તેમનો પરિવાર પણ પ્લેગથી મૃત્યુ પામે છે.
મુઆઝ પછી, અબુ સુફિયાનના પુત્ર અને મુઆવિયાના ભાઈ યઝીદ ઇબ્ને અબી સુફિયાનને તે પ્રદેશની ગવર્નરશીપ (હુકુમત) આપવામાં આવે છે. યઝીદ ઇબ્ને અબી સુફિયાન પણ આ પ્લેગથી સંક્રમિત થાય છે અને જ્યારે તેઓ મૃત્યુની અણી પર હોય છે ત્યારે કહે છે – “હું મારા ભાઈ મુઆવિયાને ગવર્નર બનાવું છું.” આમ, યઝીદ ઇબ્ને અબી સુફિયાન પછી મુઆવિયાએ આ પ્રદેશની ગવર્નરશીપ સંભાળી.
મદીનામાં બીજા શાસકને યઝીદ ઇબ્ને અબી સુફિયાનના મોતના સમાચાર મળે છે. તેઓ તે વિસ્તાર તરફ રવાના થાય છે. ત્યાં પહોંચીને, તેઓ મુઆવિયા ઇબ્ને અબી સુફિયાનને તે પ્રદેશના ગવર્નર તરીકે મંજૂરી (બહાલી) આપે છે.
આ ઇસ્લામિક ઇતિહાસની એક અત્યંત નાજુક ક્ષણ છે અને મુઆવિયાના મૃત્યુ સુધી અને તેના પછીની ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ માટે એક વળાંક સાબિત થઈ.
(તારીખ અલ-તબરી, ભાગ ૧૩ – ઉમરની ખિલાફતના મધ્ય વર્ષો ૬૩૬-૬૪૨ ઇસવી / ૧૫-૨૧ હિજરી)
કરબલાની ઘટનાઓ, જે રસૂલે ખુદા (સ.અ.વ.)ની શહાદતના લગભગ ૫૦ વર્ષ પછી બની હતી, તે ઇસ્લામિક ઇતિહાસનો એક મહત્વપૂર્ણ વળાંક છે. એક શાંત અને શૈક્ષણિક ચર્ચામાં, વ્યક્તિ યઝીદના શાસનકાળ પહેલાં આ ઘટના તરફ દોરી જતી સમયરેખાને શોધી શકે છે. અમવાસનો પ્લેગ અને મુઆવિયાને પેલેસ્ટાઇનના ગવર્નર તરીકે નિયુક્ત (બહાલ) કરવાનો ઉમરનો નિર્ણય એ કરબલા તરફ દોરી જતી ઘટનાઓની એક મુખ્ય કડી છે.
શું ઉમરે પેલેસ્ટાઇન માટે મુઆવિયાની નિમણૂક કરવી જોઈતી હતી?
મુઆવિયા, અબુ સુફિયાન અને બનૂ ઉમય્યાના સત્તામાં આવવાના જોખમો વિશે રસૂલે ખુદા (સ.અ.વ.) ની વારંવારની ચેતવણીઓ છતાં, આ ઘટનાઓ આકાર પામતી રહી. બનૂ ઉમય્યા પ્રથમ ત્રણ શાસકોની મદદથી પોતાની તાકાત મજબૂત કરવા અને સત્તા કબજે કરવા સક્ષમ બન્યા – ત્રીજા શાસક ઉસ્માન પોતે પણ બની ઉમય્યામાંથી જ હતા.
તેની શરૂઆત કોઈ શંકા વિના યઝીદ ઇબ્ને અબી સુફિયાનની પેલેસ્ટાઇનના ગવર્નર તરીકેની નિમણૂકથી થઈ હતી, જેના પછી મુઆવિયાની નિમણૂક થઈ, આ એવા નિર્ણયો હતા જેમાં ઉમરની ભૂમિકા મહત્વની હતી.
રસૂલે ખુદા (સ.અ.વ.)નું લઅનત કરવું
જ્યારે મુસ્લિમ ઉમ્મા લઅનત (ધિક્કાર) કરવાના મુદ્દે વહેંચાયેલી છે, ત્યારે લઅનત વિશેના કેટલાક એવા સ્થાપિત અહેવાલો છે જેને અવગણવા મુશ્કેલ છે – આમાંનો એક અહેવાલ મુઆવિયા સાથે સંબંધિત છે.
ઇતિહાસમાં નોંધાયેલું છે કે એકવાર રસૂલે ખુદા (સ.અ.વ.) એ અબુ સુફિયાનને ઊંટ પર સવાર જોયા, તેમનો પુત્ર યઝીદ ઊંટની લગામ પકડીને આગળ ચાલી રહ્યો હતો, અને મુઆવિયા ઊંટની પાછળ પાછળ આવી રહ્યો હતો.
ત્યારે આપ (સ.અ.વ.) એ બદદુઆ કરી:
“અલ્લાહની લઅનત થાય તે સવાર પર, આગળ દોરી જનાર પર અને પાછળ ચાલનાર પર.”
(અલ-ઇસાબા ફી તમીઝ અલ-સહાબા, ભાગ ૫, પાનું ૪૮૦)
(તારીખ અલ-તબરી, ભાગ ૧૧, પાનું ૩૫૭)
(તારીખ અબિલ ફિદા, ભાગ ૨, પાનું ૫૭)
(તઝકેરાહ અલ-ખવાસ્સ, પાનું ૧૧૫)
આ એક સુનિશ્ચિત કથન છે જે આજે મુસ્લિમ સમુદાયમાં પ્રખ્યાત છે અને તે સ્પષ્ટ છે કે પયગંબર (સ.અ.વ.) ના સાથીઓ પણ આ હદીસથી વાકેફ હતા. અને મુસ્લિમોના શાસક હોવાને નાતે, તે સમયના કથિત રીતે સૌથી વધુ જાણકાર સાથી હોવાના કારણે, ઉમર ઇબ્ને ખત્તાબ પણ સંભવતઃ આ અહેવાલથી વાકેફ હતા અને મુઆવિયાને પેલેસ્ટાઇનના ગવર્નર તરીકે નિયુક્ત કરતા પહેલા તેમણે આ બાબત પર વિચાર કરવો જોઈતો હતો.
બની ઉમય્યા પ્રત્યે નરમ વલણ
આપણને માત્ર ઉમર દ્વારા મુઆવિયાને પેલેસ્ટાઇનના ગવર્નર બનાવવાની વાત જ નથી મળતી, પરંતુ બની ઉમય્યા પ્રત્યે તેમનું નરમ વલણ પણ આ વાતચીતથી સ્પષ્ટ થાય છે:
અમવાસના પ્લેગમાં યઝીદ ઇબ્ને અબી સુફિયાનના મૃત્યુ પર, ઉમરે અબુ સુફિયાનની બાજુમાં બેસીને તેને સાંત્વના આપી હતી.
અબુ સુફિયાન: “તમે મારા પુત્ર પછી કોને ગવર્નર બનાવ્યો છે?”
ઉમર: “તમારા બીજા પુત્ર મુઆવિયાને.”
અબુ સુફિયાન: “તમે સારું કામ કર્યું છે અને અમારી વચ્ચેના સારા સંબંધો જાળવી રાખ્યા છે.”
(તારીખ અલ-તબરી, ભાગ ૧૩ – ઉમરની ખિલાફતના મધ્ય વર્ષો ૬૩૬-૬૪૨ ઇસવી / ૧૫-૨૧ હિજરી)
મુસ્લિમ ઉમ્માને હચમચાવી નાખવી
કમનસીબે, મુઆવિયાના શાસનકાળ દરમિયાન જે સમસ્યાઓ ઊભી થઈ તેણે મુસ્લિમ ઉમ્માને હચમચાવી મૂકી, પરંતુ રસૂલે ખુદા (સ.અ.વ.) ની આગાહી મુજબ બની ઉમય્યા પાસેથી આ જ અપેક્ષા હતી.
ઉમરને મુઆવિયાની ખરાબ આદતો જેવી કે શરાબ પીવો, રેશમ પહેરવું, વ્યાજ લેવું વગેરે વિશે જાણ કરવામાં આવી હતી, જે મુસ્લિમો માટે સખત હરામ (નિષેધ) છે. જો કે, ઉમરે તેને અવગણવાનું પસંદ કર્યું. મુસ્લિમોએ તેમને આની જાણ કરી અને માંગ કરી કે આ અસ્વીકાર્ય છે. ઉમરે જવાબ આપ્યો – “તે કુરૈશમાંથી છે, હું તેની સાથે કડકાઈથી કામ લઈ શકું નહીં.”
ઉમરે મુઆવિયાને આ શબ્દો સાથે ખુલ્લો દોર આપ્યો – “હું તને શું કરવું તે નહીં કહું અને ન તો તને કોઈ પણ વસ્તુથી રોકીશ.”
ઉમર કથિત રીતે એક કડક શાસક હતા, જેઓ તેમના તમામ ગવર્નરોને જવાબદાર ઠેરવતા હતા, પરંતુ તેમણે મુઆવિયાને જવાબદાર ન ઠેરવ્યો. તેનાથી વિપરીત, મુઆવિયા પોતે જ પોતાના માટે કાયદો બની ગયો હતો.
એવું નોંધાયું છે કે ઉમર કોઈ પણ ગવર્નર/વહીવટકર્તાને લાંબો સમય સત્તા પર રહેવા દેતા નહોતા અને સત્તા પર તેમની પકડ નબળી કરવા માટે નિયમિતપણે તેમની બદલી કરતા રહેતા હતા. પરંતુ તેમણે મુઆવિયાની બદલી ન કરી, જેના કારણે તે સીરિયા (શામ) પર પોતાની પકડ મજબૂત કરવામાં સફળ રહ્યો.
સમય પસાર થવાની સાથે મુઆવિયા વધુ શક્તિશાળી બનતો ગયો. તેણે આક્રમણ દ્વારા પોતાનું શાસન ફેલાવ્યું, અને તેને વધુ જમીન પર નિયંત્રણ આપવામાં આવ્યું, જેનાથી તે વધુ મજબૂત બન્યો. તેણે અન્યાયી માધ્યમો દ્વારા પુષ્કળ સંપત્તિ એકઠી કરી. ઇસ્લામ પર અમલ કરવો એ તેની છેલ્લી ચિંતા હતી, બલ્કે તેના કાર્યો પરથી સ્પષ્ટ થતું હતું કે ઇસ્લામ ધર્મને નાબૂદ કરવો એ જ તેના શાસનનો મુખ્ય હેતુ હતો.
મુઆવિયાએ રસૂલે ખુદા (સ.અ.વ.) ના મહાન સહાબીઓ જેવા કે જનાબે અમ્મારે યાસિર, ખુઝૈમા ઇબ્ન સાબિત, ઇમામ હસન (અ.સ.), અમ્ર ઇબ્ન હમીક અલ-ખુઝાઈ, હુજ્ર ઇબ્ન અદી વગેરેની હત્યા કરી. તેણે રસૂલે ખુદા (સ.અ.વ.) ની હદીસોમાં ખોટી ભેળસેળ કરી અને ખોટી હદીસો ઘડી. તેણે રસૂલે ખુદા (સ.અ.વ.) ના નવાસા એટલે કે ઇમામ હસન (અ.સ.) સાથે કરેલી સુલ્હ (શાંતિ કરાર) ના લીરેલીરા ઉડાવી દીધા. તેણે ઇમામ હસન (અ.સ.) સાથેના શાંતિ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન કરીને પોતાના પુત્ર યઝીદને પોતાનો વારસદાર (શાસક) નિયુક્ત કરીને કરબલાની કરુણાંતિકા સર્જી.
તેથી કમનસીબે, અમવાસનો પ્લેગ કે જેના પરિણામે મુઆવિયાની તે પ્રદેશના ગવર્નર તરીકે નિમણૂક થઈ, તે ઇસ્લામિક ઇતિહાસની એક એવી ઘટના હતી જેણે માત્ર કરબલામાં ૧૦ મહીના (૧૦ મહોર્રમ) ના રોજ કત્લેઆમ જ ન કરાવ્યો, પરંતુ યઝીદ ઇબ્ને મુઆવિયાના અસંખ્ય ગુનાહોમાં, કાબા પર હુમલો (વિધ્વંસ) અને મદીનાની પવિત્રતાના ભંગ (વાકેઆ-એ-હર્રા) તરફ પણ દોરી ગયો.
Be the first to comment