શૈખ સદુક (અ.ર.)

વાંચવાનો સમય: 8 મિનિટ

ફિકાહત અને રિવાયતોના આસમાનના ઝળહળતો સિતારા, ઈલ્મે હદીસના ક્ષેત્રના શેહસવારો સર્વપ્રથમ આલિમ, ઈસ્લામની ખૂબ જ પ્રખ્યાત હસ્તી અબુ જઅફર મોહમ્મદ બિન  અલી બિન બાબવય્હે કુમ્મી જેઓને “શૈખ સદુક” (અ.ર.) નો લકબ આપવામાં આવ્યો છે. તેમનો જન્મ હીજરી સન ૩૦પ મુકદદસ શહેર કુમમાં એ સમયે થયો, જયારે હઝરત ઈમામ મહદી (અ.સ.)ના ત્રીજા નાએબ હુસૈન બિન રવ્હની નિયાબતનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.

તેમના આદરણીય પિતાજી શૈખે સદુક અલી બિન હુસૈન બિન બાબવય્હ કુમ્મી ઈસ્લામના બુઝુર્ગતરીન ફોકહાઓમાં ગણનાપાત્ર હતાં, જેમણે ઈમામ હસન અસ્કરી (અ.સ.) અને ઈમામે ઝમાના (અ.સ.)ના ઝમાનાને નિહાળ્યો હતો. આપ બંને ઈમામો (અ.મુ.સ.)ની નજદીક અત્યંત આદરણીય હતાં. ઈમામ હસન અસ્કરી (અ.સ.)એ અલી બિન બાબવય્હ (અ.ર.)ને જે પત્ર લખ્યો હતો, તેમાં તેમને શૈખ, મોઅતમદ (ભરોસાપાત્ર), મારા ફકીહ જેવા શબ્દો વડે સંબોધન ર્ક્યું હતું. શૈખે સદુકના પિતાજી કુમમાં પેદા થયા અને ત્યા જ જીવન પસાર ર્ક્યું અને તેજ પવિત્ર શહેર કુમમાં પોતાની બરક્તવંતી જીંદગીના અંતિમ શ્ર્વાસ લીધા. બરક્તવંતી જીંદગી એટલા માટે કહયું કે તેમણે પોતાની જીંદગીની વિવિધ પરિસ્થિતિઓ અને અલગ અલગ ઉતાર અને ચઢાવ માં અંદાજે બસો (ર૦૦) કિતાબોનું સંકલન ર્ક્યું હતું.

ઈમામે અસ્ર અજજલલ્લાહો તઆલા ફરજહુ શરીફની દોઆ :

શૈખે સદુક (અ.ર.)ના માનનીય પિતા અલી બિન  બાબવય્હ (અ.ર.)ની વયના પચાસ વર્ષ વીતી ચૂક્યા હતાં અને હજુ સુધી તેમને પુત્રપ્રાપ્તિ થઈ ન હતી. તેમની ખૂબ જ ઈચ્છા હતી કે અલ્લાહ તેમને એક નેક પુત્ર અતા કરે. એક દિવસ ઈમામ (અ.સ.)ના નાએબે ખાસ જનાબ હુસૈન બિન રવ્હના માધ્યમથી ઈમામે ઝમાના (અ.સ.)ને પત્ર લખ્યો કે તેમના માટે એક નેક પુત્ર માટે દોઆ કરે. ઈમામે અસ્ર (અ.સ.)એ દોઆ કરી અને ઈબ્ને બાબવય્હને લખ્યું : અમે ખુદાવંદે આલમને તમારા માટે બે નેક પુત્રો માટે દોઆ કરી છે. ઈમામની દોઆ પછી અલી બિન બાબવય્હને દીકરો પ્રાપ્ત થયો, જેમનું નામ ‘મોહમ્મદ’ રાખ્યું. જેઓ પછીથી અત્યંત પ્રતિષ્ઠિત આલિમ અને નામાંક્તિ અને મૂલ્યવાન ફકીહના નામથી મશ્હુર થયા, અને તે શૈખ સદુક (અ.ર.) હતાં.

બાળપણ :

શૈખે સદુક (અ.ર.)એ પોતાનું બાળપણ અને યુવાનીનો પ્રારંભકાળ પોતાના માનનીય પિતા અલી બિન બાબવય્હ કુમ્મીના ઇલ્મ, ફઝીલત, તક્વા અને પરહેઝગારીની છત્ર છાયામાં વિતાવ્યો. શૈખે સદુક (અ.ર.)એ પોતાના પિતાની જ પાસેથી ઇલ્મ અને મઆરીફની સાથોસાથ અમલી અને અખ્લાકી તરબીયત પણ મેળવી. તે મહાન પિતા જેઓ પ્રતિષ્ઠા, ફીકાહત અને ઈલ્મની ઉચ્ચી બુલંદીઓ પર બિરાજમાન હતાં, તેમની પાસે પોતાની જીંદગી તેમજ બાળકોની રોઝી રોટી માટે કુમના બજારમાં ફક્ત એક નાનકડી દુકાન હતી. અને અત્યંત સંયમ અને સંતોષની હાલતમાં જીવન વીતાવ્યું. શૈખે સદુકે પોતાના આદરણીય પિતાજીની બરક્તવંતી જીંદગીના વીસ અને અમૂક વર્ષ પ્રાપ્ત થયા. બાવીસ કે ત્રેવીસ વર્ષની ઉંમરમાં બેવફા ઝમાનાએ પિતાની મોહબ્બત અને શફક્તભરી છત્ર છાયા દીકરા પાસેથી છીનવી લીધી.

શૈખ સદુક (અ.ર.) નું પ્રતિભાશાળી વ્યક્તિત્વ:

શૈખે સદુક અલયહિર્રહમહનું મહાન, પ્રતિષ્ઠિત અને ઈલ્મી કુટુંબ અને તેમનું ના નમાંક્તિ વાલીદે અલ્લામની છત્રછાયા હેઠળ તરબીયત એક તરફ, તો બીજી તરફ ખુદ શૈખે સદુક (અ.ર.)ની વ્યક્તિગત પ્રતિભા, આશ્ર્ચર્યજનક યાદશક્તિ અને અકકલ તથા બુદ્ધિમતાનો જવાબ ન હતો, જેના કારણે ઓછા સમયમાં ઈન્સાની કમાલાતના બુલંદ અને ઊંચા કીલ્લાઓને સર કરી લીધા. અને વીસ વર્ષથી ઓછી વયમાં પણ હજારો હદીસો અને રિવાયતોને તેમના રાવિઓની સાથે યાદ કરી લીધી હતી. શૈખે સદુક (અ.ર.) ના ઉસ્તાદ મોહમ્મદ બિન અલી અસ્વદ આપના ઈલ્મ અને જ્ઞાન પ્રત્યેના અતિઉત્સાહ અને યાદશક્તિ વિષે ફરમાવતા હતાં, શૈખ સદુકના ઈલ્મ અને જ્ઞાન પ્રત્યેનો શોખ અને આકર્ષણને જોઈને આશ્ર્ચર્ય નથી થતું કારણ કે તે ઈમામે ઝમાના (અ.સ.)ની દોઆથી પેદા થયા છે. ખુદ શૈખે સદુકે (અ.ર.) એ લોકોને ઘણી વાર ફરમાવ્યું : ‘‘હું ઈમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની દોઆથી પેદા થયો છું.”

શૈખ સદુક (અ.ર.)ના શિક્ષકો :

આપની સફળતાના કારણોમાંથી એક કારણની તરફથી એ રીતે પર્દો ઉઠાવી શકાય છે કે કદાચ તેનું કારણ એ હોય કે આપને ઘણા બધા શિક્ષકોને મળાવાનો મૌકો મળ્યો અને તેઓની ફળશ્રુતિથી ફાયદો મેળવ્યો. સૌપ્રથમ આપે પોતાના વાલીદે અલ્લામ઼ની પાસેથી ઈલ્મ પ્રાપ્ત ર્ક્યું. આ ઉપરાંત બુઝુર્ગ ઉસ્તાદોની દર્સી મહેફીલોમાં પણ જતા. કોઈ આલિમે વર્ણન ર્ક્યું છે : શૈખે સદુકના ઉસ્તાદોની સંખ્યા બસો (ર૦૦)થી પણ વધારે છે અને તે બુઝુર્ગ ઉસ્તાદો જેમના દરથી ફાયદો મેળવ્યો છે તેમાંથી અબુ જઅફર મોહમ્મદ બિન યઅકુબ કુલૈની સાહેબે ‘ઉસુલે કાફી’નું નામ બયાન કરી શકાય છે.

શૈખે સદુક અને શૈખે કુલૈની:

‘ઉસુલે કાફી’ ના લેખક પછી ‘સેક્તુલ ઈસ્લામ’ શૈખ કુલૈની (અ.ર.) શૈખ સદુકને જ તેમના ઝમાનાના મહાન હદીસવેત્તા ગણવામાં આવતા હતાં. આપ હદીસ નકલ કરવામાં તેમજ વિવિધ ઉલુમમાં નિષ્ણાંત હતાં. આપે ઘણી ક્તિાબોનું સંકલન ર્ક્યું છે. આપે શૈખ કુલૈનીના ઈલ્મનો ભંડારમાંથી વર્ષો સુધી લાભ મેળવ્યો છે અને મઅસૂમીન અલયહેમુસ્સલામની હદીસો અને રિવાયતોને એકઠી કરવામાં અને સાંભળવામાં મશ્ગુલ રહેતા હતાં. શૈખે સદુક (અ.ર.) પોતાના ઉસ્તાદ શૈખ કુલૈનીની જેમ માત્ર હદીસને વર્ણવવા અને રિવાયતોનો સંગ્રહ અને તેના પૃથક્કરણ પૂરતા મર્યાદિત ન હતાં, બલ્કે રિવાયતોના સંગ્રહ ઉપરાંત ઈલ્મે કલામના વાદ વિવાદો અને બાબે ક્ષેત્રેમાં પણ અસાધારણ અને પ્રખ્યાત હતા.

શૈખ સદુક (અ.ર.)ના વિધ્યાર્થીઓ:

આપે એ વાતનો સારી રીતે અંદાજો લગાવી લીધો હતો કે દીનના પેશ્વાઓ એટલે કે મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના ઈરશાદો અને ફરમાનોની બહેતરીન હિફાઝત ફક્ત એજ સ્થિતિમાં થઈ શકે છે કે જેને મક્તબે એહલેબૈત અલયહેમુસ્સલામની સહાનુભૂતિ અને તેમનાથી હમદર્દી ધરાવનારાઓ સીનાઓમાં સ્થળાંતર કરી દેવામાં આવે. આ એટલા માટે કે સમયના વહેણની સાથે એ વાત દુર ન હતી કે રિવાયતો અને હદીસોમાં તાકત અને અતિક્રમણ વડે તેમને બદલી નાખવામાં આવે અથવા નાબૂદ કરી દેવામાં આવે. તેથી આપે વિધ્યાર્થીઓnણઈ અને શાગીર્દોની તઅલીમ અને તરબીય્ય્તની અમૂલ્ય સેવાનું કામ શરુ કરી દીધું અને આ રીતે આપે દિન અને મઝહબની સુરક્ષા અને દેખરેખનું બીડું ઉપાડી લીધું. આપના મહાન અને ઉચ્ચ કક્ષાના વિધ્યાર્થીઓમાંથી મોહમ્મદ બીન નોઅમાન જેઓ શૈખે મુફીદ તરીકે ઓળખાય છે તેમનું નામ વર્ણવી શકાય છે. જેમની ખિદમતો ઈસ્લામી જગતમાં પરીચયની મોહતાજ નથી. તેમnની કિતાબો અને તેમની ખીદમતોનું અવલોકન કર્યા પછી અને તેમની ઇલ્મ ઉપરની ફાવટ, અભ્યાસનો વ્યાપ અને જાણકારીનો ખૂબ સારી રીતે અંદાજો આવી જાય છે.

શૈખે સદુક (અ.ર.)ની કિતાબો:

આપે અત્યંત મૂલ્યવાન અને ખૂબ જ ઉપયોગી કિતાબોનું સંકલન ર્ક્યું છે. તે વિષે શૈખે તુસી (અ.ર.) ફરમાવે છે : “આપે ત્રણસો કિતાબોનું સંકલન ર્ક્યું છે. આપની કિતાબો મજબુત બુનીયાદવાળી, ઉપયોગી અને વિવિધ વિષયો ઉપર જોવા મળે છે. જે પોતેજ એ દલીલ છે કે તેઓ કેટલી હદે ઈસ્લામી ઈલ્મો ઉપર નિપુર્ણતા અને કાબુ ધરાવતા હતાં. આપે સંકલિત કરેલી કેટલીક કિતાબો:

૧.    મન લા યહઝરોહુલ ફકીહ (એહકામે ફીકહમાં શિયા રીવાયતોની બુનિયાદ ઉપર કુતુબે અરબાની બીજી ક્તિાબ)

૨.    એલલુશ્શરાએઅ (એહકામની ફીલોસોફી અને શરીઅતના હુકમોના કારણો વિષે છે.)

૩.    કમાલુદ્દીન વ તમામો અન્-નેઅમત (ઈમામે ઝમાનાના અસ્તિત્વ, તેમની લાંબી ગૈબતને અકલી અને નકલી દલીલો વડે સાબિત કરવા વિષે છે.)

૪.    ખેસાલ

૫.    આમાલી

૬.    ઓયુને અખ્બારે રેઝા, વગેરે

ઈલ્મી ક્ષેત્રે પહેલો અને સંશોધનો:

ઈસ્લામી જગતની બુઝુર્ગ શખ્સીયત અને નામદાર ફકીહ શૈખ સદુક (અ.ર.)ને વધારે કરીને ‘રઈસુલ મોહદદેસીન’ (હદીસવેત્તાઓના સરદાર)ના લકબથી ઓળખવામાં આવે છે, એટલા માટે કે આપે હદીસોની ઓળખ અને તેમના સ્ત્રોતોની સુરક્ષા અને સંકલનમાં ખૂબ જ તકલીફો ઉપાડી છે. આપે વિવિધ વિષયોની સંબંધિત હદીસોની વિષયવાર ગોઠવણી કરી અને દરેક વિષય માટે સ્વતંત્ર અને જુદુ-જુદુ પ્રકરણ લખ્યું. તે ઉદાહરણો કિતાબ ‘મન લા યહઝરોહુલ ફકીહ’ અથવા ‘ઓયુને અખ્બારે રેઝા’ અથવા આપની અન્ય ક્તિાબોમાં જોવા મળશે, જેમાં વિષયોની ખાસિયતોnનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

શીઆઓની ચાર ભરોસાપાત્ર kકિતાબો:

ઈસ્લામથી માહિતગાર થવા માટે તેમજ કુરઆની સત્યોની ઓળખ માટે પયગમ્બરની સુન્નત અને મઅસૂમીન અલય્હેમુસ્સલામની રીવાયતો અને હદીસોની ઓળખ જરૂરી છે અને તેની અવગણના થઈ શકે નહિ. એટલા માટે કે બીજી તરફ જુઠા હદીસવેત્તાઓએ સાચી અને ઘડી કાઢેલી હદીસોને એકબીજા ભેળવી દેવાના કારણે તેમની દરમ્યાનના ભેદને સાથે ખતમ કરી નાખનારો સમૂહ પણ મળી આવે છે. જેના કારણે દરેક જણ આ મુશ્કીલમાંથી મુક્તિ મેળવી શક્તો નથી. તેમજ દરેક જણ માટે બારીકાઈથી પારખવાનું શક્ય નથી. એટલા માટે ત્રણ બુઝુર્ગ શિયા હદીસવેત્તાઓ અને ફકીહોએ રીવાયતની ચાર મહત્વપૂર્ણ ક્તિાબોમાં હદીસોનો સંગ્રહ કરવાની તકલીફ ઉપાડી. આ કિતાબો  ‘કુતુબે અરબા’ ના નામથી મશ્હુર છે, જેમના લેખકોને ‘મોહમ્મદુન સલાસ’ (ત્રણ મોહમ્મદ) કહેવામાં આવે છે, એટલા માટે કે ત્રણેય બુઝુર્ગોના નામ મોહમ્મદ અને તેમની કુન્નીયત ‘અબુ જઅફર’ જ છે.

૧.    ઉસુલે કાફી, સંકલન : અબુ જઅફર મોહમ્મદ બિન યઅકુબ કુલૈની (અ.ર.), હદીસોની સંખ્યા : ૧૬૧૯૯

ર.    મન લા યહઝરોહુલ ફકીહ, સંકલન : અબુ જઅફર મોહમ્મદ બીન અલી બીન બાબવૈહ કુમ્મી, લકબ : શૈખ સદુક, હદીસોની સંખ્યા : ૫૯૬૩

૩.    અત્તહઝીબો અલ ઇસ્લામ, સંકલન : અબુ જઅફર મોહમ્મદ બિન હસન, જે શૈખે તુસીના નામથી જાણીતા છે, હદીસોની સંખ્યા : ૧૩પ૯૦

૪.    અલ-ઈસ્તીબ્સાર, આ પણ શૈખે તુસીનું જ સંકલન છે, હદીસોની સંખ્યા : પપ૧૧

અસ્રે હદીસ : (હદીસોનો ઝમાનો)

શૈખે સદુક (અ.ર.)ના ઝમાનાને હદીસોનો ઝમાનો અને ‘અસ્રે હદીસ’ નું નામ આપવું જોઈએ. એટલા માટે કે આ તે દૌર છે જેનો પ્રારંભ શૈખ કુલૈનીની ઈલ્મી કોશિશો અને ખિદમતોથી શરુ થાય છે અને શૈખ સદુક (અ.ર.) ના સતત સંઘર્ષ, મહેનતો અને ઝહેમતો પર aઅડીખમ રહ્યો છે. શૈખ કુલૈની (અ.ર.) એ પોતાની આધુનિક ઈલ્મી કોશિશો અને પ્રયત્નો વડે મક્તબે એહલેબૈત અલયહેમુસ્સલામની હદીસોના સંકલનનો પાયો મુક્યો અને પછી શૈખે સદુક જેવા બુઝુર્ગ દરજજાના આલિમોને તેની ઉપર હદીસોના પ્રચાર અને પ્રસારની અડગ અને મજબુત ઈમારત ઉભી કરી. શૈખ કુલૈનીએ જે રાહ ઉપર કદમ મૂક્યો હતો તે રાહ ઉપર શૈખ સદુકે કદમના સીલસીલાને બાકી રાખવા માટે અસંખ્ય ઈલ્મી સફર કરી અને તેના માટે અતિશય પ્રયત્નો કર્યા.

રીવાયત અને ગુફતારમાં આપની સચ્ચાઈ :

ઈલ્મે રેજાલમાં હદીસના રાવીઓની ઓળખનો પ્રશ્ર્ન અત્યંત મહત્વપૂર્ણ હોય છે, જેના આધારે હદીસવેત્તાઓની હદીસોને કબૂલ કરવામાં આવે છે. ઈલ્મે રેજાલના આલિમોની સમજણના આધારે રાવિઓની સચ્ચાઈ અને ઈત્મીનાન વિષે ઈલ્મ હાંસિલ થાય છે. ઓલમાએ દીન શૈખે સદુક (અ.ર.)ની ઉપર એટલી હદે ભરોસો કરે છે કે તેમના માટે આ વાક્ય મશહુર છે કે એમ કહેવું કે, શૈખે સદુક કાબિલે ઈત્મીનાન છે, તેમની તૌહીન સમાન છે. શૈખે સદુક (અ.ર.)ને સદુક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે અઈમ્મએ મઅસૂમીન અલય્હેમુસ્સલામ ખાસ કરીને ઈમામ બાકિર (અ.સ.) અને ઈમામ સાદિક (અ.સ.)થી નકલ હદીસોમાં સચ્ચાઈના રસ્તાને છોડ્યો નથી. એજ પ્રમાણે સમજવા અને અર્થ ગ્રહણ કરવામાં ભૂલ કરી નથી. શૈખે સદુક (અ.ર.) ની સચ્ચાઈનો અંદાઝ આ વાત ઉપરથી લગાડી શકાય છે કે ફિક્હની અને રિવાયાતોની કિતાબોમાં શૈખે સદુક (અ.ર.) અને તેમના માનનીય પિતા અલી ઇબ્ને બાબવય્હેને સદુકય્ન કહેવામાં આવે છે. પરંતુ જયારે શબ્દો શૈખે સદુક (અ.ર.) વપરાય છે તો તેનાથી મુરાદ માત્ર દીકરા એટલે કે મોહમ્મદ બિન અલી બિન બાબવય્હ લેવાય છે, બાપને તેમાં તેમના પિતાને શામિલ કરવામાં આવતા નથી.

શૈખે સદુક અને ગૈબતે સુગરા :

શૈખે સદુકના ઝમાનામાં રાજકીય અને સામૂહિક રીતે જે સૌથી મહત્વનો પ્રસંગ બન્યો, જેના પરીણામમાં આજ સુધી માનવજાત સપડાયેલી છે અને તે છે ઈસ્લામી ઉમ્મતનો પોતાના ઈમામ સાથે જાહેરી સંપર્ક કપાઈ જવો, એટલે કે મઅસૂમ ઈમામ અને ઉમ્મત વચ્ચે દૂરી પૈદા થવી તે છે. ઈમામ હસન અસ્કરી (અ.સ.)ની શહાદત પછી એટલે કે હીજરી સન ર૬૦માં ઈમામે ઝમાના (અ.સ.)ની ગૈબતે સુગરાનો પ્રારંભ થયો અને હીજરી સન ૩ર૯ સુધી આ ક્રમ જળવાઈ રહયો. આ સમયગાળા દરમ્યાન ઈમામ (અ.સ.) અને ઉમ્મત વચ્ચે સંપર્ક માટે ઈમામ (અ.સ.)ના કેટલાક નાએબે ખાસ આવી ગયા, જેમને “નવ્વાબે અરબા” કહેવામાં આવે છે. આ લોકો ઈમામે અસ્ર (અ.સ.) તરફથી નિયુક્ત હતા. શૈખે સદુક (અ.ર.) જેમ કે અગાઉ પણ જણાવી ચૂક્યા છીએ ઈમામ (અ.સ.)ના ત્રીજા નાએબે ખાસ હુસૈન બીન રવ્હની નિયાબતના પ્રારંભિક કાળમાં એટલે કે હીજરી સન ૩૦પ માં પેદા થયા, આ હિસાબે શૈખ સદુક (અ.ર.) એ પોતાની વયના ર૩ વર્ષ ગૈબતે સુગરામાં પસાર ર્ક્યા, એટલે કે ઈમામના બે નાએબે ખાસના સમયગાળાને પસાર ર્ક્યો. જેણે ખરેખર શૈખે સદુકની ઈલ્મી અને રૂહાની પ્રગતિ, વિકાસણે સૌથી વધારે મહત્વપૂર્ણ માધ્યમોમાંથી ગણી શકાય છે. અને તે શૈખે સદુકના ઈલ્મ અને અમલના નુરાની કિલ્લાઓની બુલંદીઓ સુધી પહોંચવાની બહેતરીન સીડી પણ રહી છે.

શૈખે સદુક બુઝુર્ગ આલિમોની નજરમાં :

ઈસ્લામી જગતમાં શૈખે સદુકના વ્યક્તિત્વને ખૂબ જ આદર અને સન્માનની નજરથી જોવામાં આવે છે. તમામ બુઝુર્ગ આલિમો અને ફકીહો આપની અદાલતનું સમર્થન કરે છે અને આપના મહાન અને ઉંચા દરજ્જાને ખૂબ જ માનની સાથે બયાન કરે છે. શૈખે તૂસી (અ.ર.) પોતાની ક્તિાબ ‘અલ ફેહરીસ્ત’માં લખે છે : ‘શૈખે સદુક જલીલુલ કદ્ર આલિમે દીન અને હદીસોની હિફાઝત યાદ રાખનારા હતા. કુમના આલિમોમાં હદીસો યાદ કરવામાં અને વધારે જાણકારી ધરાવવાના હિસાબે તેમનો કોઈ સમોવડીયો ન હતો.’

સૈયદ બિન તાઉસ (અ.ર.) ફરમાવે છે : શૈખે સદુક (અ.ર.)ની એ હસ્તિ કે જેમના ઈલ્મ અને અદાલતના વિષે તમામ એકમત છે. અલ્લામા મજલીસી (અ.ર.) શૈખ સદુક (અ.ર.)ના વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પાડતા ફરમાવે છે: ‘શૈખ સદુક (અ.ર.) ની ગણના ભૂતકાળના મહાન અને બુઝુર્ગ આલિમોમાં થાય છે.’

રય શહેરની તરફ હિજરત :

શૈખે સદુક (અ.ર.)એ અઈમ્મએ મઅસૂમીન (અ.સ.)ના આસાર અને ફરમાનોને જમા કરવાના હેતુથી ઘણી મુસાફરી કરી, પરંતુ આ મુસાફરીના સમયમાં પણ આપે મોટા-મોટા શિક્ષકો પાસેથી ઈલ્મ મેળવ્યું અને પોતે પણ તાલીમ અને તરબીયત તેમજ ચર્ચાઓ અને શિખવવાના મેદાનથી પોતાની ઝાતને દૂર ન કરી, ત્યાં સુધી કે આપે કેટલીક ક્તિાબો મુસાફરીમાં જ સંકલિત કરી. આપની ઘણી બધી સફરોમાં બુખારા, નિશાપુર, તૂસ, ઈસ્ફહાન અને બગદાદ જેવા શહેરોનું નામ લઈ શકાય છે.

શૈખે સદુક અંતમાં રય શહેરના હાકિમ રૂકન ઉદ્ દૌલા દયલમીના વઝીર સાહિબ બિન એબાદ અને રય શહેરના રહેવાસીઓના આમંત્રણને માન આપીને રય શહેરની તરફ હિજરત કરી, ત્યાં પહોંચીને દર્સ અને મુબાહસા માટે હવ્ઝ એ ઈલ્મીયાની સ્થાપના કરી અને ફિકહ તેમજ એહલેબૈત (અ.સ.)ની હદીસોના દર્સ આપવામાં મશગુલ થઈ ગયા.

શૈખ સદુક (..)ની વફાત:

ઈસ્લામી જગતની મહાન હસ્તિ, જેમણે ઈસ્લામની ખિદમતમાં પોતાનું જીવન વકફ કરી દીધું હતું, છેવટે પોતાની બરક્તવંતી જીંદગીના સીત્તેરથી વધુ વર્ષો પસાર ર્ક્યા પછી અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા. આપના જનાઝામાં એક વિશાળ મેદનીએ શિરકત કરી. હીજરી સન ૩૮૧ માં રય શહેરમાં હઝરત શાહ અબ્દુલ અઝીમના પવિત્ર કબ્રની પાસે ખાકને સુપુર્દ કરી દેવામાં આવ્યા.

આપની પવિત્ર કબ્ર આજે પણ રય શહેરમાં ઈબ્ને બાબવય્હના નામથી મશ્હુર અને પ્રખ્યાત છે, આપની નુરાની કબ્ર દરેક ખાસો-આમ માટે ઝિયારતગાહ અને દોઆની કબુલીય્યતના સ્થળના નામે ઓળખાય છે.

નવસો (૯૦૦વર્ષ પછી શૈખ સદુકની કબ્ર મુબારકની એક કરામત

હીજરી સન ૧ર૩૮ ફત્હ અલી શાહ કાચારની હુકુમતના ઝમાનામાં જયારે વરસાદ વગેરેના કારણે શૈખે સદુકની પવિત્ર કબ્ર ખરાબ થઈ ગઈ, તો ફરી તેના નવીનીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જયારે તેની આજુબાજુની જગ્યાનું ખોદકામ કરતી વખતે તે સરદાબ (ભોંયરા)માં પહોંચ્યા જયાં આપની દફનની જગ્યા હતી, તો જોયું કે આપનું શરીર બિલ્કુલ એજ રીતે સહી-સલામત છે જાણે કે હમણા જ ગુસ્લ આપીને સુવરાવવામાં આવ્યું હોય. અને ખિઝાબનો રંગ પણ તેમની આંગળીઓમાં બાકી હતો. વીસ બુઝુર્ગ વ્યક્તિઓ આ કરામતના ગવાહ છે, જેમાં મિર્ઝા અબુલ હસન જલ્વહ, હઝરત આયતુલ્લાહ મુલ્લા મોહમ્મદ રુસ્તમાબાદી અને હઝરત આયતુલ્લાહ મરઅશી નજફીના મરહુમ વાલિદ હાજ સૈયદ મહમુદ મરઅશીનું નામ લઈ શકાય છે. બેશક વિલાયતના ચાહક અને ઈમામત ઉપર જાન નિછાવર કરનારની બહેતરીન જઝા આજ હોય છે.

તેમની રૂહ શાદ થાય, તેમની યાદ જીવંત રહે અને રસ્તો આબાદ થાય.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*